જામનગર : આમ તો ચોમાસા દરમિયાન જામનગર જીલ્લાના ધોરી માર્ગ હોય કે રાજ્ય માર્ગ, તમામની હાલત ખસતા થઇ ગઈ હતી. જેમાં અનેક રસ્તાઓ ગેરેંટી પીરીયડમાં પણ આવી જતા હતા. ચોમાસા બાદ વ્યાપક ફરિયાદો ઉઠતા સરકાર જાગી હતી અને તંત્રએ તમામ માર્ગો પર ધીગડા મારી રોષ ઓછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એવા પણ અનેક રસ્તાઓ છે કે જે રસ્તા જે તે સમયે પણ ખરાબ હત અને આજે પણ એવી જ કંડમ હાલતમાં છે. આવા જ એક રાસ્તાની ખસ્તા હાલત અંગે રિલાયન્સ કંપનીના ગ્રૂપ પ્રેસિડેન્ટ દ્વારા તીખી પ્રતિક્રિયા આપતું ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં કલેકટરથી માંડી સ્થાનિક જન પ્રતિનિધીઓને ટેગ કર્યા છે.
જામનગરથી જામજોધપુર, પોરબંદર, ભાણવડ, લાલપુરને જોડતો લાલપુર ધોરી માર્ગ મહત્વનો છે. આ રોડ દિવસ દરમિયાન અનેક વાહનોની અવર-જવર માટે નિમિત બની રહ્યો છે. જો કે લાંબા સમયથી આ માર્ગ ઉબડખાબડ બન્યો છે. જેને લઈને વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની સીઝનમાં બિસ્માર હાલતમાં બન્યા બાદ આજ દીન સુધી આ રોડનું મરામતનું કામ હાથ ધરાયું નથી. જામનગરથી લાલપુર માત્ર 35 કિ.મી.નું અંતર ધરાવે છે. પરંતુ આ 35 કિ.મી.નું અંતર કાપતા સવાથી દોઢ કલાક જેટલો સમય લાગે છે. કારણ કે આ રોડ ઉપર ઠેર-ઠેર મસ મોટા ગાબડા પડયા છે. આ રોડ ઉપરથી એમ્બ્યુલન્સ જેવા વાહનો જયારે પસાર થાય છે ત્યારે એમ્બ્યુલન્સ ચાલક અને દર્દી બન્ને ભારે પરેશાન થાય છે. આ રોડની જેની જવાબદારી છે તે માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ દ્વારા આ રોડનું મરામતનું કામ શરૂ ન કરાતુ હોય, રોડના પ્રશ્ને વાહન ચાલકો અને આ વિસ્તારના લોકોની સમસ્યાના ઉકેલ માટે થઇને રિલાયન્સ કંપનીના ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજ નથવાણી દ્વારા ટવીટ કરવામાં આવેલ છે. જેમાં જામનગરથી લાલપુર હાઇ-વે રોડનું મરામતનું કામ તાકિદે હાથ ધરાઇ તે માટે જિલ્લા કલેકટર, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, જામનગર જિલ્લાના બન્ને ધારાસભ્ય અને રાજયના કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, સહિતનાઓને ટેગ કર્યા છે.
આશા રાખીએ કે આ ટ્વીટ બાદ આ માર્ગ નવો બનશે અથવા નવીનીકરણ કરવામાં આવશે.