ટ્રેપ: લાંચિયા અધિકારીએ સમાજને બદલે પોતાનું કલ્યાણ કરી નાખ્યું

0
893

પાલનપુરના સમાજ કલ્યાણ અધિકારીએ સમાજનું કલ્યાણ કરવાને બદલે પોતાનું કલ્યાણ કર્યું હોય એમ એસીબીની તપાસમાં સામે આવ્યું છે. 10 હજારની લાંચ લેતા પકડાયેલ આ બાબુના રહેણાંક મકાનેથી અધધ પોણા અઠયાવીસ લાખની રોકડ મળી આવી છે. હવે આવતીકાલે બેન્ક એકાઉન્ટ અને લોકર અંગે તપાસ કરવામાં આવશે.

ફરીયાદી સરકારી ગ્રાન્ટેડ છાત્રાલય ચલાવતા હોય, સરકાર તરફથી મળતી છાત્રોના નિભાવની સરકારી ગ્રાન્ટ પાસ કરવાના તેમજ કોઈ ખામીઓ ના કાઢી ગ્રાન્ટ મંજૂર કરવા માટે આક્ષેપીત અમીત નરેન્દ્રભાઈ પટેલ, વર્ગ-૨, સમાજ કલ્યાણ અધિકારી, પાલનપુર વાળાએ ફરિયાદી પાસે રૂ.૧૦,૦૦૦ લાંચની માંગણી કરેલ, જે લાંચ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીનાએ એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેને લઈને એ.સી.બી. દ્વારા ફરિયાદીની ફરિયાદને આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ છટકા દરમ્યાન આક્ષેપીત અમીત નરેન્દ્રભાઈ પટેલ, વર્ગ ૨, સમાજ કલ્યાણ અધિકારી, પાલનપુર ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી, લાંચની રકમ રૂ.૧૦,૦૦૦ સ્વીકારી પકડાઇ ગયા હતા. જેમના વિરૂધ્ધ બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૩/૨૦૨૩, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮(સુધારા-૨૦૧૮)ની કલમ-૭,૧૩(૧)(અ) તથા ૧૩(૨) મુજબના કામના આરોપી અમીત નરેન્દ્રભાઈ પટેલ,વર્ગ-૨, સમાજ કલ્યાણ અધિકારી,પાલનપુર વિરૂધ્ધ રૂ.૧૦,૦૦૦ ની લાંચનો ગુનો દાખલ કરવામાંઆવેલ છે, જે બાદ આરોપી અમીત નરેન્દ્રભાઈ પટેલના ઘરે ગુંદીખાંડ, નુતન સ્કુલ રોડ, વિજયપરૂ, વિસનગર જી.મહેસાણા ખાતે એ.સી.બી. દ્વારા ઝડતી તપાસ કરતા આરોપીના ઘરેથી રોકડા રૂ.૨૭,૮૩,૪૪૦/-(અંકે રૂપિયા સતાવીસ લાખ ત્રાંસી હજાર ચાર સો ચાલીસ પુરા) મળી જે બાબતે આરોપી કોઈ
સંતોષકારક ખુલાસો કરી શકેલ નહિ જે રકમ એ.સી.બી દ્વારા કબજે લઈ આગળની કાર્યવાહી ચાલુ છે.

કોણ છે સમાજ કલ્યાણ અધિકારી ?

આરોપી વર્ષ-૨૦૧૮ માં જી.પી.એસ.સી. ની સીધી ભરતીથી સમાજ કલ્યાણ અધીકારી, વર્ગ-૨ તરીકે નિમણૂક પામેલ છે. તેમના કાર્યક્ષેત્રમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા
સંચાલીત બનાસકાંઠા જીલ્લાની કુલ-૫૨ (બાવન) હોસ્ટેલસ્ ની દેખરેખ અને અન્ય સરકારી યોજના અમલીકરણની કામગીરી કરવાની રહેલ છે. તેઓ બનાસકાંઠા જીલ્લામાં જુન-૨૦૨૨ થી ફરજ બજાવે છે. આ અગાઉ તેમણે આણંદ, ગાંઘીનગર જીલ્લામાં સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવેલ તેઓ પોતાની કચેરીમાં નાણાં સ્વીકારતા ન હતા પણ હોસ્ટેલોના ઈન્સપેકશન તથા વિઝીટ દરમ્યાન લાંચ ના નાણાં સ્વીકારતા હતા.

લાંચિયા શખ્સો અંગે ક્યાં કરશો ફરિયાદ ?

સરકારી બાબુ કે પ્રજાના પ્રતિનિધિ કે અન્ય ઈસમો લાંચની ગેર વ્યાજબી માંગણી કરે તો આવા ઇસમોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની તથા સરકારી અધિકારી/ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર અંગેના વ્યવહારોની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નં.૧૦૬૪, ફોન નં.૦૭૯-૨૨૮૬૬૭૭૨, ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮, ઇ મેઇલ- astdiracb-f2@ gujarat.gov.in., વોટસએપ નં.૯૦૯૯૯-૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા સી.ડી. દ્વારા અથવા પેન ડ્રાઇવમાં પણ માહિતી મોકલવા એસીબીએ નાગરીકોને આહવાન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here