જામનગર : જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યાની સોપારી આપી જયેશ પટેલ વિદેશ નાશી ગયો હતો. ત્યારબાદ બીજા જ સપ્તાહમાં આરોપીઓએ વકીલની હત્યા નીપજાવી હતી. જો કે વારદાતને અંજામ આપતા પૂર્વે જયેશ પટેલે આરોપીઓને ત્રણ કરોડની સોપારી નક્કી કરી ટોકન પેટે રૂપિયા વીસ લાખ ચૂકવી દીધા હોવાનું સામે જાણવા મળ્યું છે. જો કે જે તે સમયે પોલીસ તપાસમાં જયેશ પટેલે માત્ર નેવું હજાર જ સોપારી આપી હોવાનું જાહેર થયું હતું.
જામનગરમાં વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણના ત્રણેય આરોપીઓને આવતી કાલે કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. રિમાન્ડ દરમિયાન આ પ્રકરણમાં કોની કેવી ભૂમિકા રહેલી છે તેનો તાગ મળી જશે પણ હાલ જે વિગતો સામે આવી છે તેને લઈને સનસનાટી મચી જવા પામી છે. કિરીટ જોશી હત્યા પ્રકરણના મુખ્ય આરોપી જયેશ પટેલ અને હત્યારાઓ વચ્ચે જેલમાં થયેલ મુલાકાત બાદ ત્રણ ચાર વખત મીટીંગ થઇ હતી. જયેશે જ અમદાવાદ જેલમાં રહેલ આરોપી દિલીપ ઠક્કર અને રાજકોટ જેલમાં રહેલ તેના ભાઈ હાર્દિક ઠક્કરને છોડાવવાની વ્યવસ્થા કરી આપી હતી.
ઓગસ્ટ ૨૦૧૭માં ઠક્કર બંધુઓ જેલ બહાર આવી ગયા હતા ત્યારબાદ રાજસ્થાનના આબુ ખાતે આરોપી અજયપાલસિંહની સાથે એક હોટેલ પર આખરી મીટીંગ થઇ હતી. જેમાં વકીલની હત્યા માટે રૂપિયા ત્રણ કરોડની સોપારી નક્કી થઇ હતી. અને વીસ લાખની રકમ એડવાન્સ આપવામાં આવી હતી. જયેશ પટેલે ત્રણેય આરોપીઓને વકીલનો ફોટો વોટ્સએપ કરી અને સતત વોટ્સએપ કોલથી સંપર્કમાં રહ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. વારદાતને અંજામ આપ્યા બાદ પણ આરોપીઓ જયેશના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે.