જામનગર અપડેટ્સ કલ્યાણપુર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામેથી વ્યાજખોરીનો એક ચોંકાવનારો અને કંપારી છૂટી જાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ખેડૂત અને જેસીબી માલિકને આર્થિક ભીંસનો લાભ ઉઠાવી, પાંચ વ્યાજખોરોએ ૨.૫૦ લાખ રૂપિયાની લોન સામે અત્યાર સુધીમાં અધધ ૨૬.૭૮ લાખ રૂપિયા વસૂલ કરી લીધા છે. નવાઈની વાત તો એ છે કે, આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નથી અને તેઓ હજુ પણ વધુ ૨૭.૩૦ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે, એટલું જ નહીં, ફરિયાદી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી રહ્યા છે.

માત્ર ૨.૫૦ લાખની લોન અને વ્યાજનું ‘માયાવી’ જાળ
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઢકા ગામના રહેવાસી ૩૫ વર્ષીય દેવજીભાઈ બાબુભાઈ કછેટીયા, જેઓ ખેતીકામ અને જેસીબી મશીન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેમણે વર્ષ ૨૦૨૪માં નાણાકીય જરૂરિયાતને કારણે ભાતેલ ગામના વિજયસિંહ સતાજી જાડેજા, રણજીતસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, કુલદિપસિંહ કેશુભા જાડેજા અને ગઢકા ગામના જમનભાઈ માધાભાઈ નકુમ પાસેથી અલગ-અલગ સમયે કુલ ૨.૫૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ તમામ આરોપીઓ પાસે નાણાં ધીરધારનું કોઈ કાયદેસરનું લાઈસન્સ ન હોવા છતાં, તેમણે દેવજીભાઈને ઊંચા વ્યાજદરે નાણાં ધીર્યા હતા.
પઠાણી ઉઘરાણી, કોરા ચેક અને જાનથી મારી નાખવાની ધમકી
શરૂઆતમાં વ્યાજ ચૂકવ્યા બાદ, દેવજીભાઈ પર વ્યાજખોરોનું દબાણ વધતું ગયું. ઊંચા વ્યાજદર, પેનલ્ટી અને મુદલ રકમ ભેળવીને આરોપીઓએ એક જટિલ જાળ તૈયાર કરી. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમણે અત્યાર સુધીમાં આરોપીઓને કુલ ૨૬,૭૮,૦૦૦ રૂપિયા રોકડા ચૂકવી દીધા છે. છતાં, આરોપીઓ હજુ પણ મુદલ, વ્યાજ અને પેનલ્ટી પેટે ૨૭,૩૦,૦૦૦ રૂપિયાની માતબર રકમ બાકી હોવાનો દાવો કરી રહ્યા છે. આ પઠાણી ઉઘરાણી માટે આરોપીઓએ દેવજીભાઈ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી, ભય હેઠળ બળજબરીપૂર્વક કોરા ચેકો અને નોટરાઈઝ્ડ લખાણોમાં સહી કરાવી પોતાની પાસે રાખી લીધા છે.

તપાસનો ધમધમાટ શરુ કરતી કલ્યાણપુર પોલીસ:
આખરે કંટાળીને અને જીવના જોખમે દેવજીભાઈએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં પાંચેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે BNS એક્ટની કલમ ૩૦૮(૫), ૫૪, ૩૫૧(૩) અને નાણા ધીરધાર અધિનિયમ – ૨૦૧૧ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હાલ પી.એસ.આઈ. વી.આર. શુકલ આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ ચલાવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં વ્યાજખોરીના દૂષણને ઉઘાડું પાડ્યું છે અને સામાન્ય લોકો કેવી રીતે આ જાળમાં ફસાઈ જાય છે તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.





