જામનગર: મુખ્ય મંત્રી કોર્પોરેટરોને રૂબરૂ મળશે? જો સાચી સ્થિતિ બહાર આવે તો ?

0
1129

જામનગર અપડેટ્સ: જામનગર મહાનગરપાલિકામાં અધિકારીઓ-પદાધિકારીઓ સામે વિરોધ પક્ષ સહીત શહેરીજનોના ભ્રષ્ટાચારના તોતિંગ આક્ષેપો જગ જાહેર બન્યા છે. બીજી તરફ ભાજપ શાસિત મહાનગરપાલિકામાં ભાજપના જ નગરસેવકોને કામની ફાળવણી બાબતે કરવામાં આવતા ભેદભાવ, સંગઠનના સતત ચંચુપાત અને ટોપ લેવલના ભાજપના જનપ્રતિનિધિઓમાં પડી ગયેલ ફાંટાઓ વચ્ચે આજે જયારે મુખ્ય મંત્રી સંભવતઃ કોર્પોરેટરોને મળવાના છે ત્યારે ઉકળતો આ ચરુ બહાર આવશે કે પછી ટોપ લેવલની નેતાગીરી બધું સંભાળી લેશે એ સો મણનો સવાલ છે.

મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ આજે જામનગરમાં ૪૩૦ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓના પ્રવાસ પૂર્વે મુખ્યમંત્રીની ભાજપાના નગરસેવકો સાથેની સંભવત બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે. જામનગર ભાજપા હાલ ત્રણ પાંખમાં વહેચાયો છે એમ જાણકારોએ મત દર્શાવ્યો છે. જેને લઇ મહાનગરપાલિકાના પધાધિકારીઓ દ્વારા પણ નગરસેવકો સાથે જેવી જેની મજબુત પાંખ પ્રમાણે વર્તન કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે અમુક નગરસેવકોની હાલત નાં ઘરના ના ઘાટના જેવી થઇ ગઈ છે. કારણ કે ગ્રુપીઝ્મનો ભોગ બનેલા બિચારા આ નગરસેવકો એક પણ નેતાગીરી સાથે સુમેળ સાધી ન શક્યા, આવા નગરસેવકોને પધાધિકારીઓ દ્વારા વોર્ડ વાઈઝ કામ બાબતે પણ અન્યાય થઇ રહ્યો છે. બધું જાણવા છતાં પણ આ નગરસેવકો મુક બનીને તમામ બીનાઓ જોવા સિવાય કોઈ રસ્તો જ નથી.

તો બીજી તરફ છેલ્લા બે વર્ષમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ મહાકાય પ્રોજેક્ટ્સ પાછળ ઉડીને આંખે વળગે એવો ભ્રષ્ટાચાર પણ છૂપો રહ્યો નથી. જે પદાધિકારીને જ્યાંથી જે મળ્યું તે ઉસેડી ગજવો ભરી પ્રજાના પૈસે ફાળવેલી ગાડીઓમાં તાગડધિન્ના કરી રહ્યા છે. મહાનગરપાલિકાની ચાલુ બોડીના કાર્યકાળને હવે જયારે આઠ મહિના બાકી રહયા છે ત્યારે મોવડી મંડળને પણ યાદ આવ્યું કે ચૂંટણી આડે તો માત્ર આઠ મહિના જ રહ્યા છે. ત્યારે નારાજ અને ક્યાયના ના રહેલ પોતાના જ નગરસેવકોને મનાવવાના અત્યારથી જ પાસા ફેકાઈ રહ્યા છે. હવે જ્યારે ખુદ મુખ્ય મંત્રી નગરસેવકોને રૂબરૂ સાંભળવાના છે ત્યારે સો મણ સવાલ એ છે કે… ઘંટ બાંધશે કોણ ? હાલના માહોલને લઈને વાત કરીએ તો કોઈ નગરસેવક મુખ્ય મંત્રી સમક્ષ સાચું ચિત્ર રજુ કરી શકે એવું લાગતું નથી. નગરસેવકોને અંદરથી એવો ભય છે કે કદાચ સાચી વાત થઇ જાય તો ટીકીટ પર કાતર ફરી વળશે, આ કાતર વાળી વાત કોઈ નગરસેવકને પરવળે તેમ નથી, આવી સ્થિતિ વચ્ચે કયા ગ્રુપનો હાથ ઉપર રહેશે એતો આવનારો સમય એટલે કે આઠ માસ બાદ જ જાણવા મળશે પરંતુ હાલ સ્થાનિક ભાજપામાં પડી ગયેલ તિરાડ જો સમયસર સંધાવામાં નહિ આવે તો વધુ નુકશાનનું કારણ બની શકે એમ રાજકીય વિશ્લેષકો મત દર્શાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here