જામનગર શહેર બી ડીવીજન પોલીસ દફતરમાં ફરજ બજાવતા આઠ પોલીસકર્મીઓ સહીત જીલ્લાના ૧૪ પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીમાં સ્થાન પામેલ સીટી બી ડીવીજનના ચાર પોલીસકર્મીઓને સજા રૂપે બદલી કરવામાં આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ચારેય મહાશયોએ ફાયરીંગ પ્રેકટીશ પણ બીજા પાસે કરાવી લેતા આ પગલું ભરવામાં આવ્યું છે. એટલું જ નથી જે પોલીસકર્મીઓએ ભડકા કર્યા એના પણ એજ હાલ થયા છે.
જામનગર જીલ્લા પોલીસ વિભાગમાં આતંરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં કાલાવડ ગ્રામ્યમાંથી ગીતાબેન હરદાસભાઈ ગોજીયા, પંકજ ખીમાભાઈ વાઘેલા, જીતેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા, કાલાવડ શહેરથી મયુરસિંહ જયેન્દ્રસિંહ જાડેજાને સીટી બી ડીવીજન બદલી કરવામાં આવી છે. જયારે જામજોધપુરથી ક્રિપાલસિંહ પ્રતાપસિંહ સોઢા અને ધર્મેન્દ્રસિંહ નટુભા જાડેજાને પણ સિટી-બી ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે. બીજી તરફ સીટી બી ડીવીજન પોલીસમાં ફરજ બજાવતા આઠ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે જેમાં રવિન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજા, અર્જુનસિંગ રામદેવસિંગ જાડેજા અને દેવસુર મીરાભાઈ સાગઠિયાને ધ્રોલ, ફૈઝલ મામદભાઈ ચાવડા અને શોભરાજસિંહ ગુમાનસિંહ જાડેજાને કાલાવડ ગ્રામ્ય, ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજાની જામજોધપુર અને વિરેન્દ્રસિંહ સુરૂભા ઝાલાની કાલાવડ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે. બદલી પાછળનું કારણ ભલે ખાતાકીય સરળતા બતાવવામાં આવી રહ્યું હોય પણ સીટી બી ડીવીજન પોલીસકર્મીઓના “ફાયરીંગ કાંડ” ને લઈને અત્રેના આઠ પોલીસ કમીઓના તપેલા ચડી ગયા છે એમ પોલીસ બેડામાં ચર્ચાઓ તેજ બની છે. દર વર્ષે દરેક પોલીસકર્મીઓને ફરજીયાત ફાયરિગ પ્રેકટીશ કરવાની હોય છે પણ આઠ પૈકીના ચાર પોલીસકર્મીઓએ વિજરખી ખાતે હાજરી પુરાવી ન હતી. જયારે તેની જગ્યાએ અન્ય ચાર પોલીસકર્મીઓએ ફાયરીંગ કરી નાખ્યું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ વાત જીલ્લા પોલીસ વડા સુધી પહોચી જતા આઠેયની એક સાથે બદલી કરી નાખવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.