જામનગર: ઉદ્યોગ નગરી જામનગરના મોટી ખાવડી વિસ્તારમાં આવેલી રિલાયન્સ પેટ્રોલિયમ કંપનીના હાઈ-સિક્યોરિટી ઝોનમાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. કંપનીના અંદરના વિસ્તારમાં આવેલા આંબાના બગીચામાં એક વેટેરનરી ડોક્ટરનું પાણીના ટાંકા (સંપ) માં ડૂબી જવાથી રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું છે. મૂળ કેરળના વતની અને અહીં સેવા આપતા ડોક્ટરના અકાળે અવસાનથી ટાઉનશીપ વિસ્તારમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

આંબાના બગીચામાં સર્જાયો કાળમુખો બનાવ: રાત્રિના અંધકારમાં ડોક્ટર ડૂબ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક ડો. વૈશાખ વિશ્વમ (ઉં.વ. ૩૬), જેઓ રિલાયન્સની મોટી ખાવડી સીમ ટાઉનશીપના સેક્ટર એરિયામાં રહેતા હતા, તેઓ ગત તા. ૦૧/૦૪/૨૬ની રાત્રિના સમયે કોઈ કારણસર કંપનીના અંદરના ભાગે આવેલા ‘આર.પી.એલ બીટ’ વિસ્તારમાં ગયા હતા. અહીં વાડી ગેટ પાસે આવેલા આંબાના બગીચામાં પાણીના પંપ હાઉસ પાસેના સંપમાં તેઓ અચાનક પડી ગયા હતા. રાત્રિના ૨૧:૦૦ થી મોડી રાતના ૦૧:૪૫ વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના બની હોવાનું અનુમાન છે. ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી તબીબનું શ્વાસ રૂંધાવાને કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે: અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ
આ બનાવ અંગે સત્યનારાયણ કેશુરામ નાયક નામના શ્રમિકે પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા મેઘપર પોલીસનો કાફલો તાત્કાલિક રિલાયન્સ કંપનીના અંદરના વિસ્તારમાં પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી BNNS કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતનો ગુનો રજીસ્ટર કર્યો છે. હાલ આ કેસની આગળની તપાસ મેઘપર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એચ. નોયડા ચલાવી રહ્યા છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે ડોક્ટર પંપ હાઉસ પાસે કયા સંજોગોમાં ગયા હતા અને આ ઘટના પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે કે કેમ.

સલામતી સામે સામે સવાલો, પરિવાર શોકમાં
રિલાયન્સ જેવા અત્યંત સુરક્ષિત ગણાતા ઔદ્યોગિક વિસ્તારમાં એક ડોક્ટરનું આવી રીતે પાણીમાં ડૂબી જવાથી મોત થવું તે અનેક સવાલો ઉભા કરે છે. શું ત્યાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા કે રેલિંગ નહોતી? કે પછી આ માત્ર એક કમનસીબ અકસ્માત છે? તે તો પોલીસ તપાસના અંતે જ બહાર આવશે. હાલ તો એક તેજસ્વી યુવાન તબીબે જીવ ગુમાવતા તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.





