જામનગર: શાળાઓની સવારની પાળીનો સમય બદલાયો

0
1035

રાજકોટમાં શાળામાં બાળકીના મૃત્યુ બાદ રાજ્યની સવારની પાળીની શાળાઓના સમયમાં ફેરફારો થયા છે. આવતીકાલથી જ રાજ્યભરની શાળાઓમાં વહેલી સવારનો સમય થોડો લંબાવી દેવામાં આવ્યો છે.જામનગર સહિત રાજ્યભરની શાળાઓ આવતીકાલથી સવારે આઠ વાગ્યાથી શરૂ થશે તો બીજી તરફ સ્કૂલ ડ્રેસ કોડ ની જગ્યાએ અન્ય ગરમ કપડા પહેરવાની પણ છૂટછાટ આપવામાં આવી છે. જામનગર શહેરની 44 શાળાઓમાં સમગ્ર જાન્યુઆરી માસ તેમજ જિલ્લાની 663 શાળાઓના એક લાખ બાળકો માટે માત્ર શનિવારે અડધો કલાક મોડો સમય રાખવામાં આવ્યો છે.

બે દિવસ પૂર્વે રાજકોટમાં ઠંડીથી ઠુઠવાઇ જતા પ્રાથમિક શાળાની એક બાળકીનું કથિત મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના ઘટી હતી. જેને લઈને રાજ્ય શિક્ષણ વિભાગે ગંભીર નોંધ લીધી છે. કડકડતી ઠંડીમાં આવા બનાવો ફરી ન બને તે માટે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યો છે. જામનગર શહેર સહિત જિલ્લામાં આવેલી કુલ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલથી જ સમય ફેરફાર નો પરિપત્ર કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના ડીપીઈઓ છત્રપાલસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર આજે શિક્ષણ વિભાગ ની સૂચનાઓ મુજબ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે અને આવતીકાલથી જ સમયમાં ફેરફાર કરવામાં આવશે. આ ઉપરાંત ગરમ કપડાઓ અંગે પણ છૂટછાટ આપવામાં આવી છે.
જામનગર શહેરની મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 44 શાળાઓના સાડા તેર હજાર બાળકો આ પરિપત્રથી પ્રભાવિત થશે એમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુનીબેનએ જણાવ્યું છે.
જામનગર શહેરની 44 શાળાઓમાં જાન્યુઆરી માસ દરમિયાન સવારનો સમય અડધો કલાક લંબાવી સવારે 8:00 થી 12:00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જ્યારે જામનગર જિલ્લાની 663 શાળાઓમાં માત્ર શનિવારે અડધા કલાક સમય વહેલો કરવામાં આવ્યો છે. જે જાન્યુઆરી માસ સુધી અમલી રહેશે એટલે કે જિલ્લાની 663 શાળાઓના એક લાખ બાળકો માટે માત્ર શનિવારે અડધો કલાક સમય લંબાવવામાં આવ્યો છે તો બીજી તરફ ખાનગી શાળાઓને પણ વિવેક બુદ્ધિથી શૈક્ષણિક કાર્યનો સમય ફેરફાર કરી શકે છે એમ પણ જિલ્લા શિક્ષણ અધિકારી છત્રપાલસિંહ જાડેજાએ બહાર પડેલા પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here