જામનગર: મહાનગરપાલિકાચૂંટણી પહેલાં ભાજપમાં ટિકિટ માટે મેરેથોન દોડ, ૫૮૩ દાવેદારો

0
255

જામનગર અપડેટ્સ: આગામી ૨૬ તારીખે યોજાનારી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ માટે ભારે ઉત્સાહ અને સ્પર્ધા જોવા મળી રહી છે. ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે ભાજપે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી છે, જેમાં કુલ ૫૮૩ દાવેદારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. દાવેદારોની આ ભારે સંખ્યા પાર્ટી માટે ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયાને વધુ જટિલ બનાવી રહી છે.
ભાજપ દ્વારા બે ઝોનમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. વોર્ડ ૧ થી ૮ માટે ફ્રેન્ડ્સ હોલ ખાતે નિરીક્ષકો તરીકે કેશવલાલ પટેલ (કેશુભાઈ), ભૂષણભાઈ ભટ્ટ અને તેજલબેન નાયીએ દાવેદારોને સાંભળ્યા હતા. જ્યારે વોર્ડ ૯ થી ૧૬ માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે અમિતભાઈ ઠાકર, નૌકાબેન પ્રજાપતિ અને ગૌતમભાઈ શાહે દાવેદારોની રજૂઆત સાંભળી હતી.
આ પ્રક્રિયામાં દરેક વોર્ડમાં ટિકિટ માટે મોટી સંખ્યામાં દાવેદારો આગળ આવ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર ૭માં ૪૮ દાવેદારો સાથે સૌથી વધુ સ્પર્ધા જોવા મળી, જ્યારે વોર્ડ નંબર ૧૨માં માત્ર પાંચ દાવેદારો નોંધાતા તે સૌથી ઓછો આંક રહ્યો છે.

બીજી તરફ, સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દાવેદારોમાં લોબિંગનો દોર પણ શરૂ થયો છે. અનેક દાવેદારો મોટા નેતાઓની મુલાકાત લઈને પોતાની દાવેદારી મજબૂત કરવાની કોશિશ કરી રહ્યા છે. જોકે પાર્ટી ગાઇડલાઇન બહાર પાડશે તો અડધાથી વધુ દાવેદારો આપોઆપ બહાર થઈ શકે છે.
આ દરમિયાન સેન્સ પ્રક્રિયા અંગે માહિતી આપવા મામલે મીડિયા સેલ અને શહેર સંગઠન વચ્ચે ગેરસમજ સર્જાતા અડધો દિવસ ચર્ચાઓમાં પસાર થયો હતો. અંતે પ્રભારી ધનસુખ ભંડેરીએ સ્પષ્ટતા કરી કે એવી કોઈ ગંભીર બાબત નથી.
હવે દાવેદારોની યાદી સાથે છ સભ્યોની નિરીક્ષક ટીમ ગાંધીનગર પહોંચશે, જ્યાં ભાજપ હાઇકમાન્ડના પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ઉમેદવારો અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આગામી સપ્તાહમાં કોને ટિકિટ મળશે અને કોણ કિનારે રહેશે તે સ્પષ્ટ થઈ જશે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી ૨૬ એપ્રિલે યોજાશે, જ્યારે ૨૮ એપ્રિલે પરિણામ જાહેર થશે.

વોર્ડવાઇઝ દાવેદારોની સંખ્યા
વોર્ડ ૧ – 25

વોર્ડ ૨ – 28

વોર્ડ ૩ – 47

વોર્ડ ૪ – 27

વોર્ડ ૫ – 34

વોર્ડ ૬ – 25

વોર્ડ ૭ – 48

વોર્ડ ૮ – 43
વોર્ડ ૯ – 46

વોર્ડ ૧૦ – 43

વોર્ડ ૧૧ – 43

વોર્ડ ૧૨ – 05

વોર્ડ ૧૩ – 45

વોર્ડ ૧૪ – 44

વોર્ડ ૧૫ – 40

વોર્ડ ૧૬ – 40

ટિકિટ માટેની આ ભારે દોડ દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યમાં નેતૃત્વ કરવાની ઈચ્છા શહેરના કાર્યકરોમાં વધી રહી છે. હવે ભાજપ હાઇકમાન્ડ માટે સાચા અને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવી સૌથી મોટી કસોટી બનવાની છે. લોકશાહી માત્ર ચૂંટણીથી નહીં, પણ જવાબદાર પ્રતિનિધિઓથી મજબૂત બને છે.મતદારો માટે જરૂરી છે કે તેઓ જાતિ, જૂથ કે વ્યક્તિગત લાભ કરતાં વિકાસ, પારદર્શિતા અને જનસેવાને પ્રાથમિકતા આપતા ઉમેદવારને પસંદ કરે. લોકશાહીની સાચી શક્તિ જાગૃત મતદારમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here