
જામનગર અપડેટ્સ: જામનગર નજીકના કનસુમરા ગામે ગ્રામ વિકાસ માટે બનાવવામાં આવેલ ટ્રસ્ટના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ મળી ટ્રસ્ટના બેંક ખાતામાં જમા કરોડો રૂપિયાની રકમ મળતિયાઓના બેંક ખાતામાં જમા કરાવી, અન્ય ટ્રસ્ટમાં નાણા જમા કરાવી મોટું કમીશન મેળવી ગોલમાલ કરી નાખ્યાની પંચકોશી બી ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે. ટ્રસ્ટના એક સભ્યએ પ્રમુખ સહિતના નવ સખ્સો સામે છેલ્લા ત્રણ વર્ષમાં મોટા આર્થિક વ્યવ્હાર કરી કમીશન પેટે રૂપિયા ગજવામાં નાખી ગ્રામજનો સાથે વિશ્વાસઘાત કર્યાનો આરોપ લગાવ્યો છે. રાજકીય વગદાર તરીકેની છાપ ધરાવતા આરોપીઓ સામે પંચકોશી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરી છે. ઓદ્યોગિક વિસ્તારમાં સંપાદન થયેલ ગામની જમીનના વળતર પેટે આવેલ જે રૂપિયા બેંકમાં જમા હતા એ રૂપિયા આરોપીઓ દ્વારા અન્ય ખાતાઓમાં જમા કરાવી મોટું કમીશન મેળવ્યું હોવાનો આરોપ લગાવાયો છે.
ગામની જમીન ઔધોગિક જોનમાં સંપાદન થતા આવી મોટી રકમ

જામનગર નજીકના કનસુમરા ગ્રામ સમસ્તની માલિકીની અવેડીયા તરીકે ઓળખાતી ૨૧ એકર જમીન આજથી ત્રણ દાયકા પૂર્વે જીઆઈડીસી મારફતે ઔદ્યોગિક વિસ્તારમાં માટે સંપાદન થઇ હતી. જે તે સમયે જમીન પેટે જે વળતર આવે તે રકમ ગામના વિકાસ અને સુખાકારી તેમજ માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે વપરાય એ હેતુ થી એક ટ્રસ્ટની રચના કરવામાં આવી, જે તે સમયે ‘કનસુમરા ગ્રામ સમસ્ત સાર્વજનિક ટ્રસ્ટ’ની રચના કરી જે રકમ વળતર પેટે આવી તે રકમ ટ્રસ્ટના ખાતામાં જમા કરાવવામાં આવી હતી. વર્ષ ૨૦૦૧માં જમીનના વળતર પેટે ૨૨ કરોડ જેટલી તગડી રકમ ટ્રસ્ટના ખાતામાં જમા થઇ હતી. ગ્રામજનો દ્વારા ટ્રસ્ટની બોડીની પણ રચના કરવામાં આવી અને આ જ હોદ્દેદારો દ્વારા ગ્રામ વિકાસના કાર્યો માટે સમયાન્તરે બેંકના ખાતામાંથી વહેવાર કરવામાં આવતો હતો. લાંબા સમય સુધી આ વહીવટ પારદર્શક રીતે ચાલ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષમાં ટ્રસ્ટના આર્થિક વ્યવહારો અંગે ટ્રસ્ટીઓ-સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ વહીવટ થવા લાગ્યા હતા. જેને લઈને ટ્રસ્ટના સભ્ય કાસમ ખીરા દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં તેઓને ટ્રસ્ટના બેંક ખાતામાંથી મોટા આર્થિક વ્યવહાર થયાનું સામે આવ્યું હતું.
કેવી રીતે કરવામાં આવ્યા આર્થિક વ્યવહારો ?

વર્ષ ૨૦૨૨થી ગામના જ ટ્રસ્ટીઓ- હોદ્દેદારો અકરમભાઇ સલીમભાઇ ખીરા, અકરમભાઇ ઇસુબભાઇ ખીરા, અલ્તાફભાઇ જુસબભાઇ ખીરા, આમદભાઇ મામદભાઇ ખીરા, ઇકબાલભાઇ હારૂનભાઇ ખીરા, ઇસ્માઇલભાઇ હાસમભાઇ ખીરા, વલીમામદભાઇ દોસમામદભાઇ ખીરા, હુશેનભાઇ સુલતાનભાઇ ખીરા અને હનીફભાઇ અલારખાભાઇ ખીરા, મિતુલ ગોસરાણી અને ફરિયાદી કાસમ ખીરા એમ ૧૧ સભ્યો ટ્રસ્ટી મંડળમાં સભ્યો તરીકે સેવા આપી રહ્યા છે. જેમાં પ્રમુખ તરીકે અકરમ ખીરા, ઉપ પ્રમુખ તરીકે અકરમ ઇસુબ ખીરા અને ખજાનચી તરીકે અલ્તાફ ખીરા સમગ્ર આર્થિક વહીવટ સંભાળતા હતા. આ હોદેદારો અને અન્ય ટ્રસ્ટીઓએ મિતુલભાઈ અને ફરિયાદી કાસમભાઈને વિશ્વાસમાં લીધા વિના જ ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાંથી મોટી મોટી રકમ પોતાના લાગતા વળગતા લોકોના બેંક ખાતામાં જમા કરાવી, ઉપાડી લઇ, બીજા અન્ય ટ્રસ્ટમાં રકમ જમા કરાવી મોટુ કમીશન મેળવી નાણા ફેરવી પૂર્વયોજિત કાવતરું રચી ગ્રામજનો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને કાસમભાઈએ તમામ હોદ્દેદારો સ્થિત નવ સભ્યો સામે પંચકોશી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કોના કોના ખાતામાં થયા આર્થિક વ્યવહારો ? પોલીસ તપાસમાં સામે આવશે વિગતો
આરોપીઓએ મળતિયાઓના ખાતામાં ટ્રસ્ટની રકમ જમા કરાવી ઊંચું, અન્ય ટ્રસ્ટમાં આ જ નાણાની હેરાફેરી કરી મોટું કમીશન મેળવ્યું હોવાનો આરોપ લગાવાયો છે. પોલીસ જયારે આરોપીઓની ધરપકડ કરશે ત્યારે કેટલા રૂપિયાનો વિશ્વાસઘાત કરાયો છે અને આરોપીઓએ કેટલું કમીશન મેળવ્યું છે ? તેની વિગતો સામે આવશે. હાલ આ પ્રકરણે જામનગર પંથકમાં ચકચાર સાથે ચર્ચાઓ જગાવી છે.