જામનગર નજીકના રાજકોટ ધોરી માર્ગ પર આવેલા ગામ પાસે ગઈકાલે પૂર ઝડપે દોડતી એક બોલેરો ડીવાઇડર સાથે અથડાઇ જતા સર્જાયેલા અકસ્માતમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે રહેતા એક યુવાનનું કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે તેની સાથેના અન્ય સભ્યોને નાની-મોટી ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સુરેન્દ્રનગરના આ તમામ મિત્રો દ્વારકાધીશના દર્શન કરી પરત સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
અકસ્માતના આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે આશરે અગિયાર વાગ્યાના સુમારે રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પરના ફલ્લા-રામપર કંકાવટી ડેમની કેનાલની પાસેના રોડ પર પૂરઝડપે દોડતી એક બોલેરો પીકપ વાહન ધડાકાભેર ડીવાઈડર સાથે અથડાઈ હતી અને બે ત્રણ પલટી મારી ગઇ હતી. આ બનાવમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે રહેતા પ્રવીણભાઈ ગોહિલ, સતીષભાઈ ખરગીયા, તુષારભાઈ ભરવાડ ગમારા, ખેતાભાઇ સીઆર, કાનાભાઈ શિયાળ, બળદેવભાઈ સીઆર, રમેશભાઈ કારીયા, માલાભાઈ સિંઘવ. રૈયા ભાઈ સિંધવ, અને છગનભાઇ સિંઘવ તેમજ રાજા ભાઈ કાનાભાઈ મકવાણા ને નાની મોટી ઈજા પહોંચી હતી આ બનાવના પગલે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં દર્દીને વધુ સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રહેતા આ તમામ મિત્રો બોલેરો પીકઅપ વાહન લઇ દ્વારકા ગયા હતા. જ્યાં દ્વારકાધીશના દર્શન કરી સવારે મંગળા આરતીનો લાભ લઇ પરત સુરેન્દ્રનગર જવા રવાના થયા હતા. દરમિયાન અધરસ્તે અકસ્માતનો ભોગ બન્યા હતા જેમાં એક યુવાનનું મૃત્યુ નિપજતા તમામ મિત્રો શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ અંગે પ્રવીણ ભાઈ ગોહિલ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.