જામનગર: તમામ સમાજને સાથે રાખી પાટીદાર સમાજે દેશના વિકાસમાં નવો રાહ ચીંધ્યો: જીતુભાઈ વાઘાણી

0
325

જામનગર અપડેટ્સ: સમસ્ત લેઉવા પટેલ સમાજ જામનગર દ્વારા રણજીતનગર સ્થિત પટેલ સમાજ ખાતે જ્ઞાતિની એકતા, સંસ્કૃતિ અને ગૌરવના પ્રતીક સમાન એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાસ, સામાજિક સન્માન અને સમૂહ ભોજનના આ ‘ત્રિવેણી સંગમ’માં અંદાજે 52,000 જેટલા જ્ઞાતિજનોએ ઉમટી લેઉવા પટેલ સમાજની અતૂટ સંગઠન શક્તિનો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સમાજને અનુલક્ષીને પ્રવચન આપ્યું હતું.

જામનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમની વિગતો આપતા સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 03-01-2026ના રોજ ભવ્ય મહારાસનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર જિલ્લામાંથી હજારોની સંખ્યામાં ભાઈઓ-બહેનોએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રાત્રિનું મુખ્ય આકર્ષણ જામનગરની વિશ્વ વિખ્યાત ‘પટેલ યુવક ગરબી મંડળ’ દ્વારા રજૂ કરવામાં આવેલો અદભૂત મસાલ રાસ રહ્યો હતો.

તારીખ 4-01-2026ના રોજ યોજાયેલા મુખ્ય સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી,રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા,પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ધારાસભ્ય રમેશભાઈ ટીલારા,દિવ્યેશભાઈ અકબરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.લેઉવા પટેલ સમાજ દ્વારા આ નવનિયુક્ત મંત્રીઓનું જામનગરની ધરા પર ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દિવ્યેશભાઈ અકબરી તેમજ પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ રમેશભાઈ મુંગરા, સહિતના સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, “અન્ન ભેગા એના મન ભેગાના ભાવ સાથે પાટીદાર સમાજ આજે અન્ય સમાજોને પણ સાથે રાખીને દેશને વિકાસની નવી રાહ ચીંધી રહ્યો છે. આ સંગઠિત શક્તિ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવા આયામો સર કરશે.

સમાજની ઉન્નતિ માટે ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓનું આ તકે મહાનુભવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.આ માતબર ફાળો આગામી સમયમાં સમાજ ભવનો અને સામાજિક સુવિધાઓના નિર્માણ માટે કરવામાં આવશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત 52,000 જેટલા જ્ઞાતિજનો માટે સમૂહ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લેઉવા પટેલ સમાજ ના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, હોદ્દેદારો અને સેંકડો સ્વયંસેવકોએ રાત-દિવસ જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનુભાઈ ભંડેરી,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા, ચેમ્બર્સ ઓફ કોમર્સના રમણીકભાઈ અકબરી, જીઆઇડીસી ફ્રેસ-2,3 ના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ફેક્ટરી ઓનર્સ પ્રમુખ રામજીભાઈ ગઢીયા,લેઉવા પટેલ સમાજ ના મંત્રી અશોકભાઈ પટેલ, ઉપપ્રમુખ કૈલાશભાઈ રામોલિયા, મનસુખભાઈ ભંડેરી, સહમંત્રી રમેશભાઈ વેકરીયા, ખજાનચી કિશોરભાઈ સંઘાણી સહિત સામાજિક ને રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here