જામનગર જીલ્લામાં એક જ દિવસમાં બે હત્યાના બનાવો આકાર પામ્યા છે. લાલપુર તાલુકાના નાની રાફૂદળ ગામે મોડી રાત્રે એક વાડીમાં પ્રેમીએ પ્રેમિકાની કરપીણ હત્યા નીપજાવી છે. મૃતક યુવતી એવી પ્રેમીકાના જન્મ દિવસે આરોપી તેના કાકાની વાડીએ રાત્રે લઇને આવ્યા બાદ પ્રેમીએ પ્રેમિકાની હત્યા નીપજાવી નાશી ગયો હતો. હત્યારો પ્રેમી અને યુવતી બંને એક કારખાનામાં કામ કરતા હોવાની વિગતો સામે આવી છે. હત્યા પૂર્વે આરોપીએ યુવતીના પિતાને કોલ કરી જાણ પણ કરી હોવાની વિગતો સામે આવી છે.

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નાની રાફૂદળ ગામે આવેલ જેન્તીભાઈ પરશોતમભાઈ સોનગરાની વાડીમાંથી ગળું વાઢેલ હાલતમાં ચેલા ગામે રહેતા મનસુખભાઈ રણછોડભાઈ કણજારીયાની 23 વર્ષીય પુત્રી અર્ચનાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યા નાની રાફુદળ ગામના ભાવેશ રણછોડભાઈ સોનગરાએ નીપજાવી હોવાની વિગતો સામે આવી હતી. આ બનાવ અંગે યુવતીના પિતાએ લાલપુર પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી લોહીથી તરબતર હાલતમાં પડેલ યુવતીના મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક અર્ચના અને આરોપી ભાવેશ ઔધોગિક વિસ્તારમાં આવેલ એક જ કારખાનામાં કામ કરતા હતા. આરોપી ભાવેશ મિસ્ત્રી તરીકે અને અર્ચના મજુરી કામ કરતી હતી. સમયજતા બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. આ વાત અર્ચનાએ તેના પિતાને પણ કરી હતી.

દરમિયાન ગઈ કાલે યુવતી અર્ચનાનો જન્મ દિવસ હોવાથી આરોપી ભાવેશ તેણીને લઈએ રાફુદળ ગામે લઇ ગયો હતો અને ત્યાં કોઈ પણ કારણસર તેને તેણીની કરપીણ હત્યા નીપજવી હતી. હત્યા કરતા પૂર્વે આરોપી ભાવેશે તેણીના પીતાને વોટ્સએપ કોલ કરી પુત્રીનો કલ્પાંત પણ રેકોર્ડીંગ કરી સંભળાવ્યો હતો. જેને લઈને યુવતીના પરિવારે અર્ચનાના સગળ મેળવવા નાની રફૂદળ ગામે પહોચ્ય હતા ત્યાં સરપંચ અને અન્ય ગ્રામજનોની મદદથી તેઓ વાડીએ પહોચ્યા હતા. જ્યાં તેઓની પુત્રીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. પોલીસે આરોપી ભાવેશ સામે હત્યા સબંધિત ફરિયાદ નોંધી શોધખોળ શરુ કરી છે. કયા કારણોસર હત્યા નીપજાવવામાં આવી છે ? તેનો તાગ આરોપી હાથમાં આવ્યે મળશે.