જામનગર નજીકના નાની રાફૂદળ ગામે જન્મ દિવસના દિવસે જ પ્રેમિકાની કરપીણ હત્યા નીપજાવી પ્રેમી નાશી ગયો હોવાની ઘટનાના પગલે સનસનાટી મચી જવા પામી છે. જો કે આ હત્યા પૂર્વે પણ આરોપીની સંડોવણી એક હત્યા પ્રકરણમાં ખુલી હતી. જે પ્રકરણમાં કાયદાકીય કાર્યવાહી બાદ તે મુક્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આરોપીનું લોકેશન સૌરાષ્ટ્રના જીલ્લામાં જ મળી જતા પોલીસ આરોપીને દબોચી લેવા જીલ્લા બહાર તપાસ લંબાવી છે.

જામનગર નજીકના ચેલા ગામે રહેતા મનસુખભાઈ રણછોડભાઈ કણજારીયાની 23 વર્ષીય પુત્રી અર્ચનાનો મૃતદેહ લાલપુર તાલુકાના નાની રાફૂદળ ગામે આવેલ જેન્તીભાઈ પરશોતમભાઈ સોનગરાની વાડીમાંથી ગળું વાઢેલ હાલતમાં મળી આવ્યો હતો. આ હત્યા નાની રાફુદળ ગામના ભાવેશ રણછોડભાઈ સોનગરાએ નીપજાવી હોવાની વિગતો સામે આવી હતી. આ બનાવ અંગે યુવતીના પિતાએ લાલપુર પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી લોહીથી તરબતર હાલતમાં પડેલ યુવતીના મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક અર્ચના અને આરોપી ભાવેશ ઔધોગિક વિસ્તારમાં આવેલ એક જ કારખાનામાં કામ કરતા હતા. આરોપી ભાવેશ મિસ્ત્રી તરીકે અને અર્ચના મજુરી કામ કરતી હતી. સમયજતા બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. આ વાત અર્ચનાએ તેના પિતાને પણ કરી હતી. દરમિયાન ગઈ કાલે યુવતી અર્ચનાનો જન્મ દિવસ હોવાથી આરોપી ભાવેશ તેણીને લઈએ રાફુદળ ગામે લઇ ગયો હતો અને ત્યાં કોઈ પણ કારણસર તેને તેણીની કરપીણ હત્યા નીપજવી હતી. હત્યા કરતા પૂર્વે આરોપી ભાવેશે તેણીના પીતાને વોટ્સએપ કોલ કરી પુત્રીનો કલ્પાંત પણ રેકોર્ડીંગ કરી સંભળાવ્યો હતો. જેને લઈને યુવતીના પરિવારે અર્ચનાના સગળ મેળવવા નાની રફૂદળ ગામે પહોચ્ય હતા ત્યાં સરપંચ અને અન્ય ગ્રામજનોની મદદથી તેઓ વાડીએ પહોચ્યા હતા. જ્યાં તેઓની પુત્રીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. પોલીસે આરોપી ભાવેશ સામે હત્યા સબંધિત ફરિયાદ નોંધી શોધખોળ શરુ કરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આરોપી ભાવેશે અગાઉ પણ એક હત્યા પ્રકરણમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરી ચુક્યો છે. જે પ્રકરણમાં તે નિર્દોષ છૂટ્યો હતો. ત્યારબાદ કારખાનામાં મજુર કામે લાગી ગયો હતો. અર્ચનાની હત્યા નીપજાવી નાશી ગયેલ ભાવેશનું સગળ જુનાગઢ-અમરેલી તરફ મળતા એલસીબીની એક ટીમ આ દિશામાં દોડી ગઈ છે. આરોપી પકડાયા બાદ બનાવ પાછળનું ચોક્કસ કારણ સામે આવશે.