જામનગર : એક જ દિવસમાં ૪૬,૫૨૩ લોકોને રસીકરણ, ક્યાં તાલુકામાં સૌથી વધુ ? જાણો

0
605

જામનગર અપડેટ્સ : સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહારસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લામાં લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ સાથે અન્ય તમામ વિભાગો દ્વારા માઇક્રોપ્લાનિંગ હાથ ધરી ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. રાજ્ય સરકાર મારફત વેક્સિનનો પૂરતો જથ્થો જિલ્લા/તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ફાળવણી કરી દેવામાં આવ્યો હતો.

મહારસીકરણના દિને જિલ્લામાં કુલ ૨૮૬ રસીકરણ કેન્દ્રો ઉપર તંત્ર દ્વારા વહેલી સવારથી શરૂ કરવામાં આવેલ રસીકરણની મહાઝુંબેશમાં જાગૃત જાહેર જનતાએ ખુબ જ સારો પ્રતિસાદ આપતા જિલ્લામાં રસીકરણના આંકમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં શહેરમાં એક જ દિવસમાં ૧૨,૪૮૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૪,૦૩૭ લોકોને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.

કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ અને મ્યુનિ. કમિશનરશ્રી વિજય ખરાડીના સુદઢ આયોજન અને સતત માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ લાયઝન અધિકારી,તાલુકા હેલ્થ ઓફિસર, મેડીકલ ઓફિસર, DPMU, RBSK, TMPHS, THV, ફાર્માસિસ્ટ, MPHS, FHS, CHO, DEOs,  Male/Female હેલ્થ, તમામ આશા વર્કર તથા આંગણવાડી બહેનો મળી કુલ-૧૫૦૦થી વધુ માનવબળના સહકાર દ્વારા જામનગર જિલ્લામાં કોવિડ-૧૯ રસીકરણ અભિયાન દરમિયાન એક જ દિવસમાં કુલ ૪૬,૫૨૩ લાભાર્થીઓને વેક્સિનેટ કરવામાં આવ્યા છે. જે અત્યાર સુધીની કામગીરીનો મહત્તમ રેકોર્ડ દર્શાવે છે.

હાલ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામ પૂરગ્રસ્ત છે તેવા પૂરગ્રસ્ત ૯૨ ગામો કે જ્યાં વિજળી કે અન્ય સુવિધાઓ ઉપલબ્ધ નહોતી તેમજ પાણી ભરાયેલા હતા ત્યાં બોટ દ્વારા આરોગ્યકર્મીઓ દ્વારા મોડી રાત્રી સુધી રસીકરણની ઝુંબેશ હાથ ધરી લોકોનેરક્ષિત કરવામાં આવ્યા હતા. 

તાલુકા દીઠ જોઇએ તો પ્રથમ ડોઝમાં ધ્રોલ તાલુકામાં-૧૧૮૪, જામજોધપુર-૨૩૭૮, જામનગર-૩૨૦૧, જોડિયા-૧૮૨૨, કાલાવડ-૧૫૭૬અનેલાલપુર-૧૧૫૬ મળી કુલ- ૧૧,૩૧૭ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે બીજા ડોઝમાં ધ્રોલ તાલુકામાં-૨૦૦૩, જામજોધપુર-૨૭૪૫, જામનગર-૧૦૧૦૧, જોડિયા-૧૫૭૨, કાલાવડ-૩૧૭૩ અને લાલપુર- ૩૧૨૬ મળી કુલ- ૨૨,૭૨૦ લોકો મળી કુલ-૩૪૦૩૭ લોકોને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે.હાલ સુધીમાં જામનગર જિલ્લાના શહેર વિસ્તારના ૮૫.૩૧ ટકા અને ગ્રામ્ય વિસ્તારના ૮૧.૩૦ ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે તદઉપરાંત બીજા ડોઝ માટેની પાત્રતા ધરાવતા શહેર વિસ્તારના ૭૦ ટકા ઉપર અને ગ્રામ્ય વિસ્તારના ૮૬ ટકા લોકો રસી મેળવી ચૂકયા છે.   જામનગર જિલ્લાના લોકોની એકતા અને જાગૃતતાને લઇ જામનગર જિલ્લો રસીકરણ ઝુંબેશમાં રાષ્ટ્રીય સ્તરે અગ્ર છે.

NO COMMENTS