જામજોધપુર: ગોપ ડુંગર પર દર્શન કરી પરત ફરતી રિક્ષા પલટી: પિતાનું કરુણ મોત, પુત્ર-જમાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

0
5

જામનગર અપડેટ્સ, જામજોધપુર: જામજોધપુર તાલુકાના મોટી ગોપ નજીક આવેલા પ્રસિદ્ધ ગોપનાથ મહાદેવ મંદિરના ડુંગર પરથી દર્શન કરી પરત ફરી રહેલા જામનગરના દરેડ વિસ્તારના એક પરિવારની સીએનજી રિક્ષા પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધ પિતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય બે સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ મામલે જામજોધપુર પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, જામનગર નજીક મસીતીયા રોડ પર આવેલા મુરલીધર-૧માં રહેતા જયશ્રીબેન સુનીલભાઇ રાઠોડ તેમના પરિવારજનો સાથે મોટી ગોપ નજીક ડુંગર પર સ્થિત ગોપનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. પરિવારજનો દરેડના જ રહેવાસી અમરશીભાઇ મંગાભાઇ સાગઠીયાની સીએનજી રિક્ષા (નંબર GJ-10-TW-1077) ભાડે કરીને ગયા હતા.

દર્શન કરી પરત ફરતી વેળાએ બપોરના આશરે ૧૨:૩૦ વાગ્યાના સુમારે ગોપનાથ મહાદેવ મંદિર ડુંગર પરથી નીચે ઉતરતા રસ્તા પર રિક્ષાચાલક અમરશીભાઇએ વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવતા રિક્ષા અચાનક પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં જયશ્રીબેનના પિતા ખીમજીભાઇ મનજીભાઇ ચૌહાણને માથાના ભાગે જીવલેણ ઇજાઓ થઈ હતી, જેના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત જયશ્રીબેનના પતિ સુનીલભાઇ હરેશભાઇ અને ભાઇ દીલીપભાઇ ખીમજીભાઇને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમને પણ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલે જયશ્રીબેન રાઠોડની ફરિયાદના આધારે જામજોધપુર પોલીસે રિક્ષાચાલક અમરશીભાઇ મંગાભાઇ સાગઠીયા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૦૬(૧), ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૭૭ અને ૧૮૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સટેબલ જે. ડી. મેઘનાથી ચલાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here