જામનગર : ધ્રોલ નજીકના જામનગર તરફના ધોરીમાર્ગ પર રસ્તો ઓળંગતા વૃધ્ધાને પૂર ઝડપે દોડતી કારે ઠોકર મારતા તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મૃત્યું નિપજ્યું છે. અકસ્માત નિપજાવી કાર ચાલક નાશી ગયો હતો. વૃધ્ધા પોતાની વાડીએથી શાકભાજી લેવા બીજી વાડીએ જતા હતા ત્યારે રસ્તો ઓળંગતી વેળાએ કારની ઠોકરનો ભોગ બની ગયા હતા અને પરધામ પહોંચી ગયા હતા. પોલીસે આ બનાવ અંગે નાશી ગયેલા કાર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પરના ધ્રોલ તાલુકા મથકથી 2 કિ.મી. દૂર આવેલ જી.એમ.પટેલ સ્કુલની સામેના રસ્તા પર ગઇકાલે સાંજે સાડા ચારેક વાગ્યાના સુમારે રસ્તો ઓળંગતા નંદુબેન મનજીભાઇ પરમાર નામના વૃધ્ધાને પૂર ઝડપે દોડતી જી.જે.10 ડી.એ.6417 નંબરની કારના ચાલકે જોરદાર ઠોકર મારી ફંગોળી દીધા હતા. જેમાં માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા વૃધ્ધાનું ઘટના સ્થળે જ મૃત્યું નિપજ્યું હતું. અકસ્માત નિપજાવી કાર ચાલક નાશી ગયો હતો. આ બનાવની જાણ થતા બાજુની વાડીમાં જ રહેતા તેમના પુત્ર જયંતિભાઇ સહિતનો પરિવાર ઘટના સ્થળે દોડી ગયો હતો. બીજી તરફ પુત્ર જયંતિભાઇએ નાશી ગયેલા કાર ચાલક સામે આઇપીસી કલમ 279, 304(અ) તથા એમવી એકટ 177, 184 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.