ધ્રોલ: કુળદેવીના મંદિર માટે ફાળો ઉઘરાવવા ગયેલ બંધુઓને નડ્યો અકસ્માત, એકનું મોત  

0
662

જામનગર રાજકોટ ધોરી માર્ગ પર આવેલ જાયવા ગામ પાસે ગત રાત્રે બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર બે પિતરાઈ ભાઈઓ પૈકી એક ભાઈનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. કાર ચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. રાજકોટ રહેતા બંધુઓ પોરબંદરથી પરત રાજકોટ આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં આનંદનગર મેઈન રોડ વિસ્તારમાં રહેતા પરસોતમ સુંદરજી લુહાર અને તેના પિતરાઈ ભાઈ કિશોરભાઈ મેઘજીભાઈ પરમાર ગઈ કાલે પોતાની જીજે ૧ કેએમ ૬૪૦૭ નમ્બરની કાર લઇ રાજકોટથી જામનગર અને પોરબંદર ગયા હતા. રાત્રે કામ પૂર્ણ કરી બંને ભાઈઓ રાજકોટ જવા પરત નીકળ્યા હતા. દરમિયાન જામનગર-રાજકોટ વચ્ચે જાયવા ગામ પાસે રોડ સાઈડમાં બંધ પડેલ ટ્રકના પાછળના ભાગે કાર ધડાકાભેર અથડાઈ હતી. ટ્રકનું પાર્કિંગ સિગ્નલ ચાલુ હોવા છતાં કાર ચાલક અરવિંદ ડાંગરે કાર બેદરકારી પૂર્વક ચલાવી ટ્રક સાથે કાર અથડાવી હતી. જેમાં માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા કિશોરભાઈને તાત્કાલિક ધ્રોલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

રાજકોટમાં લુહારી કામ કરતા બંધુઓ ગઈ કાલે પોતાની કાર લઇ જામનગર અને પોરબંદર રહેતા કુટુંબીજનોને મળવા ગયા હતા. કુળદેવી માતાના મંદિરના નિર્માણ માટે ફાળો ઉઘરાવવા ગયા હતા. જ્યાંથી બંને પરત ફરતા હતા ત્યારે કાર ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here