જામનગર : જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં વૃંદાવન સોસાયટીમાં પૂર ઝડપે દોડતી એક કારે ઠોકર મારતા બે વર્ષની માસુમ બાળકીનું કમકમાટીભર્યુ મૃત્યું નિપજ્યું છે. જયારે ધ્રોલમાં ત્રિકોણ બાગ પાસે અકસ્માત સર્જાય તે રીતે પુર ઝડપે દોડતી ઇકો ગાડીના ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રડાર રોડ પર વૃંદાવન સોસાયટી શેરી.નં.6માં શંકર ભગવાનના મંદિરની સામે અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂર ઝડપે દોડતી જી.જે.10 ટી.વી.5213 નંબરની સિલ્વર કલરની ઇનોવા ગાડીએ વંદનાબેન હંસરાજભાઇ મકવાણાની બે વર્ષની પુત્રી સાક્ષીને હડફેટે લઇ માથા અને કાનના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. જેમાં તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ બનાવના પગલે ઇનોવા ચાલક નાશી ગયો હતો. સીટી સી ડિવિઝન પોલીસે કારના ચાલક ગૌતમ વિનુભાઇ રાજયગુરૂ સામે આઇપીસી કલમ 279, 304(અ) અને મોટરવ્હીકલ એકટ મુજબ ફરિયાદ નોંધી પીએસઆઇ વી.એ.પરમાર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.
જયારે ધ્રોલમાં ત્રિકોણ બાગ પાસે પૂર ઝડપે દોડતી એક ઇકો કારને આંતરી લઇ એક ઇકો કારના ચાલક નટુભા ભુરૂભા જાડેજા સામે આઇપીસી કલમ 279 મુજબ કાર્યવાહી કરી હતી.