દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયા ખાતે રહેતા એક પરિવારની પુખ્ત વયના ઉંબરે ઉભેલ દીકરીને માતા પિતાએ માર માર્યાની ખંભાલીયા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. જામનગર સ્ત્રી વિકાસ ગૃહમાં આવી દીકરીએ ફરિયાદ કરતા ગૃહ સંચાલક દ્વારા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોતાના સંતાનને સારા સંસ્કાર આવી લાડકોડથી ઉછેરવાને બદલે માતા-સાવકા પિતાએ યુવાન પુત્રીને માર મારી ત્રાસ આપયાનો બનાવ ખંભાલીયાથી સામે આવ્યો છે. આ બનાવ અંગે જામનગર સ્ત્રી વિકાસગૃહ સંચાલીત ચિલ્ડ્રન હોમ્સ ફોર ગર્લ્સ વિભાગમાં અધિક્ષક સ્વીટીબેન જાનીએ ખંભાલીયા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ખંભાલીયા ખાતે બેઠક રોડથી આગળ, શ્રીજી સાનીધ્ય સોસાયટી, ગણપતિના મંદિર પાસે રહેતી સગી માતા સરસ્વતીબેન પ્રફુલભાઇ કુંભાર તથા સાવકા પિતા પ્રફુલભાઇ કુંભારએ બાળકી મનીષાબેન ગોપાલભાઇ રાઠોડ ઉ.વ.૧૭ વર્ષ ૦૪ માસ વાળીને તેમના ઘરે સતત ઝઘડા કરી, તેણીને અવાર-નવાર માર મારી, શરીરે વાસાના ભાગે તેમજ ડાબા કાન પર ઇજાઓ કરી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ તેણીએ જામનગર સ્ત્રી વિકાસ ગૃહ સંસ્થાનો સંપર્ક કર્યો હતો જેના પગલે આ કિસ્સો સામે આવ્યો હતો.