- પાનબીડીની દુકાન ધરાવતા યુવાનની ઉમર થતા કન્યા ન મળી
- જ્ઞાતિ બહાર પણ લગ્ન માટે મન મનાવી સંપર્કો કર્યા
- રાજકોટ-કચ્છની ઠગ ટોળકી સાથે મળી નાગપુરની બે બહેનોએ જાળ બિછાવી
- પોણા બે લાખ રૂપિયા આપ્યા બાદ સાદાઈથી લગ્ન થયા
- લગ્નના ચોથા દિવસે માતાને હાર્ટએટેક આવ્યાને બહાને દુલ્હનને વતન મોકલી દેવાઈ
- પાછળથી યુવાનને નાગપુર બોલાવી રૂપિયા ૩૦ હજાર માંગ્યા
- પછી લુટેરી દુલ્હન પરત ન ફરી, પણ વિગતો જાણવા મળી તેનાથી યુવાનને આંચકો લાગ્યો
જામનગર: જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના બગધરા ગામના યુવાનને ભટકી ગયેલ લુંટેરી દુલ્હન અને તેની ઠગ ટોળકીએ તેણીને પોણા બે લાખના ખાડામાં ઉતારી દીધો છે. લગ્ન કર્યા બાદ માત્ર ચાર દિવસ યુવાન સાથે રહી, માતાની બીમારીના બહાને યુવતીને યુવાનના ઘરેથી બોલાવી લેવાયા બાદ નાગપુરની યુવતી પરત ન ફરી, ઉલટાના રૂપિયા ૩૦ હજારની માંગણી કરી ફરિયાદ કરવાની ધમકી આપી છે. કચ્છના દંપતી અને એક અજાણી મહિલા ઉપરાંત ગોપના એક સખ્સ સહિતની ટોળકી સામે શેઠ વડાળા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બગધરા ગામે રહેતા અને પાન-બીડીની દુકાન ધરાવી વેપાર અને ખેતી કરતા સુભાષભાઇ ભગવાનજીભાઇ કોટડીયા નામના ૪૪ વર્ષીય યુવાનના લાંબા સમયથી લગ્ન નહી થતા હોવાથી તેઓએ જ્ઞાતિ બહાર લગ્ન કરવાની તૈયારી દર્શાવી, પોતાના ઓળખીતાઓને જાણ કરી હતી. દરમિયાન જામજોધપુર તાલુકાના ગોપ ગામના ઇશાકભાઇ ગુલમામદભાઇ ઘોઘા રહે. મોટી ગોપ ગામ તા.જામજોધપુર જી.જામનગર વાળા સખ્સ સાથે સંપર્ક થયો હતો અને તેઓએ રાજકોટમાં એક યુવતી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન ઇશાકભાઈએ તેમના પત્ની અલુબેનને સાથે રાખી રાજકોટ ખાતે રહેતા અજયસિંહ ભીખુભા સોઢા રહે.આદર્શ સોસાયટી, ફલેટ નં – ૩૧૧, શાપર મુળ રહે. દેવાંગ ટાઉનશીપ, બરોઇ, કચ્છ તથા તેમના પત્ની રીયા અજયસિંહ સોઢા સાથે રહેતી રાણીબેન વીજયભાઇ ગાયકવાડ રહે.ઉપ્પ્લવાડી, તા.જી.નાગપુર મહારાષ્ટ્ર વાળીને યુવાનને બતાવી પસંદ હોય તો આગળ વાત ચલાવવાનું કહ્યું હતું. અને જો લગ્ન કરાવી લગ્ન નીમીતે રોકડા રૂ.૧,૭૦,૦૦૦ આપવાનું કહ્યું હતું. દરમિયાન રાજકોટની આ ઠગ ટોળકી યુવાનનું ઘર અને ખેતીવાડી જોવા બગધરા ગામે આવી લગ્ન નક્કી કર્યા હતા અને તા. ૩૦/૧૧/૨૦૨૨ના રોજ બગધારા ગામે સાદાઈ થી બંનેના લગ્ન થયા હતા. ઠગ ટોળકીએ લગ્ન બાદ યુવાન પાસેથી રૂપિયા પોણા બે લાખ રૂપિયા લઇ લીધા હતા.

લગ્નના ચોથા દિવસે રાજકોટના અજયસિહે સુભાષભાઈને ફોન કરી કહ્યું હતું કે રાનીબેનના નાગપુર રહેતા માતાને હાર્ટએટેક આવ્યો છે એમ બહાનું કરી તેણીને રાજકોટ બોલાવી લઇ, નાગપુર મોકલી દીધી હતી. ત્યારબાદ શુભાસભાઈને નાગપુર બોલાવી રૂપિયા ૩૦ હજારની માંગની કરી હતી. પરંતુ સુભાસભાઈએ રૂપિયા આપવાની ના પાડી હતી. જેને લઈને તેણીએ છૂટાછેડા આપી દેવા અને પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. આથી ગભરાઈ ગયેલ સુભાસભાઈ પરત બગધારા આવી ગયેલ અને તેણી અને ઠગ ટોળકી અંગે તપાસ કરાવી હતી. જેમાં જે જાણવા મળ્યું તેનાથી યુવાનને વધુ આંચકો લાગ્યો હતો. પોતાની સાથે લગ્ન કર્યા તે પૂર્વે પંદર દિવસ પૂર્વે જ રાનીએ રાજકોટના વિજય લીલાધર વાઘેલા સાથે લગ્ન કર્યા હતા. વિજયને છૂટાછેડા આપ્યા વિના જ છેતરપીંડી આચરવાના ઉદેશ્યથી શુભાસભાઈ સાથે લગ્ન કરી લીધા હોવાનું પ્રતિપાદિત થયું હતું. શેઠ વડાલા પોલીસે અજાણી મહિલા સહિતની ઠગ ટોળકી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.