જામનગર શહેરના પંચ-બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા ચેલા ગામની માધવ વિહાર સોસાયટીમાં પાણી ભરવા જેવી સામાન્ય બાબતને લઈને થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમતા પોલીસે એક વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, ચેલા ગામની માધવ વિહાર સોસાયટી, બ્લોક નં. 16 ખાતે રહેતા અને મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સિંહણ ગામના વતની **મનીષભાઈ ભરતદાસ નિમાવત (ઉં.વ. 46)**એ પંચ-બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, 19 જુલાઈના રોજ સવારે આશરે 11:30 વાગ્યે તેઓ પોતાના ઘરની બાજુમાં આવેલી પાણીની મોટર ચાલુ કરી ઘરનાં ટાંકામાં પાણી ભરી રહ્યા હતા. તે દરમિયાન આરોપી ભીમસીભાઈ ગોજીયાએ ત્યાં આવી, “અહીં કામ ચાલુ હોવાથી સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી પાણી ભરવાની મનાઈ છે,” તેમ કહી વાંધો ઉઠાવ્યો હતો.

આ મુદ્દે ફરીયાદીએ અન્ય લોકો પણ પાણી ભરે છે તો તેમને કેમ કંઈ કહેવામાં આવતું નથી તેમ પૂછતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ આરોપીએ ફરીયાદી સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન ફરીયાદીના બંને હાથના કોણી નીચેના ભાગે ઇજાઓ પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીએ ફરીયાદીનું ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.





