ધ્રોલ: વ્યાજખોરોના ત્રાસથી મજૂર પરેશાન, રૂ. 25 હજારના વસૂલ્યા રૂ. 1.15 લાખ

0
4

જામનગર અપડેટ્સ ધ્રોલ: જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં ગેરકાયદે વ્યાજે રૂપિયા ધીરધાર આપી પઠાણી ઉઘરાણી કરીને મજૂરને હેરાન-પરેશાન કરવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે બે શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત મનીલેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, ધ્રોલના ચંદનવાસ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા **જીવણભાઈ દેવજીભાઈ ચાવડા (ઉં.વ. 39)**એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમણે ઓગસ્ટ-2023 દરમિયાન આરોપી તોસીફ જુસબભાઈ દલ પાસેથી રૂ. 25,000 માસિક 10 ટકા વ્યાજે (રૂ. 2,500 પ્રતિ મહિનો) લીધા હતા. ફરિયાદ અનુસાર, આરોપીએ મૂળ રકમ પરત ન થાય ત્યાં સુધી દર મહિને વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું. આ રીતે ફરીયાદી પાસેથી કુલ રૂ. 1,15,000 જેટલી વ્યાજની રકમ વસૂલવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમ છતાં આરોપીઓ મૂળ રકમ અને વધુ વ્યાજની માંગણી કરી અવારનવાર પઠાણી ઉઘરાણી કરતા રહ્યા હતા. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આરોપી મુસ્તુફા પણ તોસીફના કહેવાથી ફરીયાદી પાસે વ્યાજ અને મૂળ રકમની બળજબરીપૂર્વક ઉઘરાણી કરવા આવતો હતો. બંને આરોપીઓએ ફરીયાદી અને તેમના પિતા સાથે તોછડાઈભર્યું વર્તન કરી, “ગમે ત્યાંથી રૂપિયા લાવીને આપવાના જ પડશે, નહીં તો તમને જોઈ લઈશું,” કહી ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.



આ સમગ્ર ઘટનાના આધારે ધ્રોલ પોલીસે આરોપી તોસીફ જુસબભાઈ દલ અને મુસ્તુફા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 351(2), 308(2), 54 તેમજ ગુજરાત મનીલેન્ડર્સ એક્ટ-2011ની કલમ 33, 40 અને 42 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આરોપીઓ દ્વારા ગેરકાયદે વ્યાજનો ધંધો ચલાવવામાં આવતો હતો કે કેમ, અન્ય કેટલા લોકોને આવી રીતે વ્યાજના ચક્રમાં ફસાવવામાં આવ્યા છે અને પઠાણી ઉઘરાણીના અન્ય બનાવો પણ બન્યા છે કે કેમ તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here