
જામનગર અપડેટ્સ: જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં રહેતી પરણિત પ્રેમિકાએ પોતાના પ્રેમીને ફોન કરી મળવા બોલાવ્યા બાદ ધબધબાટી બોલી ગઈ હતી. જેવો પ્રેમી પ્રેમિકાના રૂમમાં પ્રવેશ્યો ત્યાં જ રૂમનો દરવાજો બહારથી બંધ થઇ ગયો, પછી પ્રેમિકાના પતી સહિતનાઓએ પ્રેમી યુવાનની એવી હાલત કરી કે સીધો જ દવાખાને સારવાર લેવા મજબુર થયું પડ્યું, ઓછામાં પૂરું યુવાન જે બાઈક પર આવ્યો હતો તે બાઈક પણ પ્રેમિકાના પરિજનોએ સાથે મળી તોડી નાખ્યું અને ધમકી આપી લટકામાં,

જામનગરમાં અજીબ પ્રેમની ગજબ કહાની જેવો બનાવ આકાર પામ્યો છે. જેની વિગત મુજબ શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં શક્તિ પાર્ક એક નંબરની શેરીમા રહેતા ૨૫ વર્ષીય ગજેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા નામના યુવાનને પોતાના વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાયજાદા નામના સખ્સની પત્ની માનસીબા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. એક દિવસ પ્રેમિકાએ પ્રેમીને ફોન કરી પોતાના ઘરે મળવા બોલાવ્યો હતો. જેથી ગજેન્દ્રસિંહ પ્રેમિકાને મળવા તેમના ઘરે ગયો હતો. પ્રેમી કઈ સમજે તે પૂર્વે તો રૂમનો દરવાજો બહારથી બંધ થઇ ગયો અને થોડી જ વારમાં જનકસિંહ, દીવ્યરાજસિંહ જાડેજા અને જયપાલસિંહ રાણા નામના સખ્સો એ દરવાજો ખોલી ગજેન્દ્રસિંહને ઘરમાંથી બહાર કાઢી તૂટી પડ્યા હતા અને મુંઢ માર મારવા લાગ્યા હતા.

વાતાવરણ ગરમ થઇ ગયું ત્યાં જ નરેંદ્રસિંહ પ્રવીણસિંહ રાયજાદા તથા દીવ્યરાજસિંહ જેઠવા ત્યા આવી ગયા હતા અને નરેન્દ્રસિંહે પોતાના હાથમાં રહેલ ધોકા વડે ગજેન્દ્રસિંહને વાસાના ભાગે એક ઘા મારેલ અને પોતાનો પટ્ટો કાઢી આંખના ઉપર કપાળના ભાગે એક ઘા કરીને લોહિ કાઢેલ તથા દિવ્યરાજસિંહે પોતાના હાથમાં રહેલ ધોકા વડે યુવાનના જમણા પગમાં એક ઘા મારી મુંઢ ઇજા પહોચાડી હતી. ત્યારબાદ આ ચારેય આરોપીઓ ગજેન્દ્રસિંહને શરીરે મુંઢ માર મારી તથા જેમફાવે તેમ ભુંડી ગાળો આપી, નરેન્દ્રસિંહે કહેલ કે હવે પછી તુ મારી પત્ની માનસીબાને મળવા આવીશ તો તને જાનથી મારી નાખીશ. ત્યારબાદ યુવાનની હીરો કંપનીની કાળા કલરની એચ.એફ.ડીલક્ષ મો.સા જેના રજી નં જી.જે ૧૦ ડી.એલ ૭૦૩૩ વાળી મોટરસાયકલમાં રૂપીયા ૨૦,૦૦૦નુ નુકશાન કર્યું હતું.

છેવટે આરોપી જયપાલસિંહે આ બાબતે ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવાને ગઈ કાલે સીટી બી ડીવીજન પોલીસ દફતરમાં તહોમતદારો સામે બી.એન.એસ.કલમ- ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૨૪(૪), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે બી ડીવીજન પોલીસ દફતરના સ્ટાફે તપાસ હાથ ધરી છે.