રાહત: કોરોના પછી મ્યુકોર્માઈકોસિસનાં પણ વળતા પાણી, વધુ ૧૩ દર્દીઓ સાજા થયા

0
418

જામનગર અપડેટ્સ : મહામારી કોરોના અંત તરફ વળી છે. ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે જનજીવન ફરી ધબકતું થયું છે. કોરોના બાદ નવી મહામારી મ્યુકોરમાઈકોસીસ વધુ પ્રબળ બનશે એવી સંભાવનાઓ સેવાઈ રહી હતી ત્યાં આ બીમારીના દર્દીઓમાં પણ ઘટાડો નોંધાતા સમગ્ર હાલારીઓનું શ્વસનતંત્ર ફરી એ જ ગતિએ ધબકતું થયું છે. હાલ સરકારી જી જી હોસ્પિટલમાં મ્યુકોરમાઈસિસના ૯૨ દર્દીઓ દાખલ છે. ગઈ કાલે ૧૩ દર્દીઓને રજા આપી દેવામાં આવતા આ મહામારીના દર્દીઓનો ગ્રાફ પણ બે આંકડાઓમાં આવી ગયો છે. આશા રાખીએ આ સ્થિતિ પણ થાળે પડે.

કોરોના બાદ જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં બ્લેક ફંગસની મહામારીના જુદા જુદા ચાર વોર્ડ શરૂ કરવામાં આવ્યા હતા. સતત દર્દીઓના વધારાને લઈને કોરોનાના બીજા કાળના અસ્ત સમયે વધુ એક વખત આરોગ્ય તંત્ર અને હાલારીઓની ચિંતામાં વધારો થયો હતો. જો કે કોરોનાની સાથે મ્યુકોરમાઈકોસીસની બીમારીએ અને તમામ દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ૩ દર્દીઓનો ઉમેરો થયો છે. છેલ્લી સ્થિતિની વાત કરીએ તો રવીવાર સુધીમાં  ૯૨ દર્દીઓ બ્લેક ફંગસની બીમારી ની સારવાર હેઠળ દાખલ છે. આ દર્દીઓ પૈકી ૬ દર્દીઓ ઉપર મેજર સર્જરી કરવામાં આવી છે. આ મહામારીને લઈને પખવાડિયા બાદ સારા સમાચાર આવ્યા છે. આ બીમારીમાં સતત સપડાઈ રહેલા દર્દીઓ બાગ ગઈ કાલે એકીસાથે ૧૩ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવતા રાહત થઇ છે.
અત્યાર સુધી ૨૧૯ દર્દીઓ મ્યુકોર્માઇકોસિસની બીમારી હેઠળ સારવાર લીધી  છે. જેમાંના પાંચ દર્દીઓના સતાવાર મૃત્યુ નોંધાયા છે. જયારે સાત દર્દીઓએ એક-એક આંખ ગુમાવવી પડી છે. ઉપરાંત અત્યાર સુધીમાં કુલ ૯૫ દર્દીઓ સ્વસ્થ થઇ બહાર આવી ગયા છે.

NO COMMENTS