જામનગર : મૂળ જામનગરના અને હાલ અમદાવાદ રહેતા ગાયનેક તબીબના બંધ મકાનના તાળા તોડી અંદર ઘુસેલ ચોર સોના ચાંદીના દાગીના અને અમેરિકન ડોલર સહિતનો મુદ્દામાલ ચોરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. જામનગરનું દંપતી અમદાવાદમાં ડોક્ટર તરીકેની ફરજ માટે ત્યાં સિફટ થયું છે.
જામનગરમાં વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં ફેસ-૨ વિનાયક-૨ની સામે રહેતા ડોક્ટર વિવેકભાઇ પ્રવિણચંદ્ર કકકડના ઘરમાં તસ્કોરોએ પરોણા કર્યા છે. જેની વિગત મુજબ, ગત તા. ૧ના રોજ બપોર થી રાત્રીના બાર વાગ્યા સુધીના ગાળામાં આ બંધ મકાનના દરવાજાના આક્ડીયાને તોડી કોઈ સખ્સો અંદર ઘુસ્યા હતા. અંદર ઘુસેલા તસ્કરોએ રૂમના કબાંટમા રાખેલ રૂપિયા ૧,૩૧,૦૦૦ની કિંમતના સોના ચાંદીના દાગીનાઓ તથા રોકડા રૂ-૩૭૦૦૦ તથા ૨૫૧ અમેરીકન ડોલર ૨૫૧ મળી કુલ રૂ-૧૬૮૦૦૦ની ચોરી કરી લઇ ગયા હતા. ડોક્ટર વિવેકભાઈ અમદાવાદમાં માણેકબાગમાં આવેલ આર્ટ ફર્ટીલીટી હોસ્પીટલમાં ગાયનેક ડોક્ટર તરીકે ફરજ બજાવે છે જયારે તેમના પત્ની કામદાર વીમા હોસ્પિટલ અમદાવાદમાં જ પેથોલોજીસ્ટ તરીકે ફરજ બજાવે છે. તબીબના માતા-પિતાને અમેરિકા રહેતી પુત્રીને ત્યાં જવાનું હોવાથી બંને જામનગરથી અમદાવાદ પુત્રને ત્યાં ગયા હતા. દરમિયાન બંધ રહેલ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.