જામનગર : આ ગામમાં થયો કોરોના વિસ્ફોટ, એક દિવસમાં ૧૧ કેસ, ગ્રામપંચાયતે જાહેર કર્યું લોકડાઉન

0
2861

જામનગર :  જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ગોપ ગામે કોરોના વિસ્ફોટ થતા સમગ્ર ગામ સહીત આરોગ્ય તંત્રમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. એક સાથે અગ્યાર ગ્રામજનો કોરોનાગ્રસ્ત થતા ગ્રામપંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું  છે. આગામી પાંચ દિવસ સુધી ગામમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય બધું બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જામનગર જીલ્લામાં કોરોના ધીરે ધીરે ફરીથી માથું ઊંચકી રહ્યો છે. આ વખતે શહેરની સાથે ગ્રામ્યમાં પણ વાયરસ પ્રબળ બનતા જીલ્લાભરમાં ભયનો માહોલ ઉભો થયો છે. ગઈ કાલે શહેર-જીલ્લામાં ૩૬ દર્દીઓ નોંધાયા હતા. જે સતત વધારો સૂચવે છે. કોરોનાના વધતા જતા કેસ વચ્ચે જામ જોધપુર તાલુકાના મોટી ગોપ ગામે તો કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક સાથે અગ્યાર ગ્રામજનો કોરોના પોઝીટીવ જાહેર થતા ગામમાં ભય ફેલાયો છે. કોરોના ફેલાવાને લઈને ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક નિર્ણય  લેવામાં આવ્યો અને સ્વૈચ્છિક લોક ડાઉન માટે અપીલ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતે કરેલ ઠરાવ મુજબ આગામી તા. ૨૫ થી ૩૧ સુધી લોકડાઉન કરવા અને સહકાર આપવા ગ્રામજનોને અપીલ કરી છે. આ પાંચ દિવસના ગાળા દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય અન્ય દુકાનો અને સંસ્થાનો બંધ રાખવા તાકીદ કરવામાં આવી છે.

આ બાબતે સરપંચ પતિ ભરતભાઈ પાથરના જણાવ્યા અનુસાર આજે અગ્યાર કેશ નોંધાયા છે. જયારે છેલ્લા ત્રણ દિવસમાં ૨૭ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી  ત્રણ દર્દીઓના તો મૃત્યુ થયા હોવાનું ઉમેર્યું  છે. સતત વધતા જતા દર્દીઓને લઈને અને આગામી તહેવારમાં વધુ જનમેદની એકત્ર ન થાય તે માટે અગમચેતીના ભાગ રૂપે આ નિર્ણય કરાયો હોવાનું જણાવ્યું  છે. જોકે કોરોનાની મહામારી સામે ગ્રામજનોએ ભય પામવાની જરૂર જ નથી. બસ કોરોનાની જે જે ગાઈડ લાઈન છે તેનું ચુસ્ત પાલન કરવામાં આવે તો આ મહામારી સામે ચોક્કસ લડી શકાય છે.

NO COMMENTS