જામનગરમાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કુલની ધોરણ દસની પરીક્ષાઓ શરુ થઇ છે. ત્યારે પ્રથમ દિવસે જ એક પરીક્ષાર્થીએ સુપરવાઈઝર પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ગઈ કાલે સંસ્કાર ઈંટરનેશનલ સ્કુલમાં સુપર વાઈઝર તરીકેની ફરજ પર રહેલ નુરમામદ મુસ્તુફાભાઈ ખીરા પર પરીક્ષા ખંડની અંદર દેવાંગ પરેશભાઈ આશાવર નામના પરીક્ષાર્થીએ બોલાચાલી કરી, ધમકી આપી હતી.
આરોપી પરીક્ષાર્થી અન્ય પરીક્ષાર્થીઓને વાતો કરાવતો હોવાથી એમ ન કરવા સુપરવાઈઝર નુરમામદભાઈએ કહ્યું હતું. આરોપીની પાછળ બેસેલ વિદ્યાર્થીને પેપરમાં સમજાતું ન હોવાથી સુપર વાઈઝરને કહ્યું હતું. જેને લઈને આરોપીએ કહ્યું હતું કે બધાયને ના પાસ કરવાના છે એટલે તો પ્રિન્ટ બરાબર કાઢી નથી. જેને લઈને સુપરવાઈઝરે દેવાંગને પેપર લખવા કહ્યું હતું. પરંતુ પેપર પૂરું થયા બાદ શાળા બહાર નીકળેલ નુરમામદ પર દેવાંગે હુમલો કરી, એકટીવાની ચાવી આંખ અને કપાળના ભાગે મારી મુંઢ ઈજા પહોચાડી હતી.
આ સમયે શાળાના અન્ય શિક્ષકો આવી ગયા હતા અને દરમિયાનગીરી કરી હતી. ત્યારબાદ ધમકી આપી આરોપી નાશી ગયો હતો. આ બનાવને લઈને સુપરવાઈઝરે આરોપી સામે સિટી એ ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી.