વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નાયબ મામલતદાર આજે રૂપિયા ત્રીસ હજારની લાંચ લેતા પકડાઈ ગયા છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત માટી પુરાણના કામે કરેલ અરજીના અનુસંધાને અરજી કરી હતી. આ અરજીના કામે નાયબ મામલતદારે રૂપિયા 50 હજારની લાંચ માંગી હતી. જે આજે રૂપિયા 30 હજારની લાંચ સ્વીકારતા પકડાઈ ગયા હતા.
એસીબીની ટ્રેપની વિગત મુજબ, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માંકણ ગામના ફરિયાદીએ પોતાના ગામના સર્વે નં.૬૦૮ વાળા તળાવમાંથી સરકારની સુજલામ-સુફલામ યોજના અંતર્ગત તેઓની માલીકીના સર્વે નં.૧૧૭માં માટી પુરાણના કામે પંચાયત ખાતે અરજી કરી હતી. આ અરજીની નકલ મામલતદાર કચેરી કરજણ તથા પ્રાંત કચેરી કરજણ તથા તાલુકા વિકાસ અધિકારી કરજણનાઓ મોકલી હતી.જે અરજીના કામે ગ્રામ પંચાયત કચેરીએ ઠરાવ કરી આપયો હતો. ત્યારબાદ મામલતદાર કચેરી દ્વારા ફરીયાદીને સ્થળ પર બોલાવી, પંચક્યાસ કરવામાં આવ્યું હતું. બાદમાં મામલતદાર કચેરી, કરજણથી ફોન કરી ફરીયાદીને ઓફિસે બોલાવી નાયબ મામલતદાર મામલતદાર(વહિવટ) વર્ગ-૩ રાજેશકુમાર મહેન્દ્રભાઈ પટેલ, મામલતદાર કચેરી, કરજણ, હાલ રહે. એ/૨, સંસ્કૃતિ દર્શન સોસાયટી, માણેજા, મકરપુરા, વડોદરા વાળાએ જણાવેલ કે, પંચક્યાસ થઇ ગયેલ છે, અમારા વ્યવહારનું શું ? એમ કહી રૂ. ૫૦,૦૦૦ની માંગણી કરેલ, જે રકઝકના અંતે રૂ.૩૦,૦૦૦ આપવાના નક્કી થયું હતું.
જે લાંચની રકમ રૂ. ૩૦,૦૦૦ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોવાથી ફરીયાદીએ એ.સી.બી. પો.સ્ટે. ભરૂચ ખાતે આવી ફરીયાદ આપી હતી, જે ફરીયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું, જેને લઈને એસીબીએ આજે વહિવટી શાખા, નાયબ મામલતદાર (વહિવટ)ના વર્કીંગ ટેબલ, મામલતદાર કચેરી કરજણ ખાતે જ ટ્રેપ ગોઠવી હતી. જેમાં નાયબ મામલતદાર રાજુભાઇ લાંચ લેતા રંગે હાથ સપડાઈ ગયા હતા. આ ટ્રેપ ભરૂચ એસીબીના પીઆઇ એસ.વી.વસાવા, મદદમાં પીઆઇ આર.વી.વીંછી (પોલીસ ઇન્સ્પેકટર,એ.સી.બી. ભરૂચ) તથા એ.સી.બી. સ્ટાફ ભરૂચ દ્વારા પાર પાડવામાં આવી હતી.