કાલાવડ: પત્ની પર ખરાબ નજરની શંકાએ જાણીતા વકીલની પતી અને તેના મિત્રએ ક્રૂર હત્યા કરી

0
2450

જામનગર અપડેટ્સ: જામનગર જીલ્લામાં સતત બીજા વર્ષે વધુ એક જાણીતા વકીલની કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગઈ કાલે રાત્રે કાલાવડ બાર એસોના સેક્રેટરી એવા વકીલ પોતાના ઘરે પહોચ્યા ત્યાં જ બે સખ્સોએ હુમલો કરી ઉપરઉપરી છરીના ઘા મારી વકીલની કરપીણ હત્યા નીપજાવી નાશી ગયા છે. વકીલના ભાઈએ બંને સખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતાના વકીલ ભાઈની બે પૈકીના એક આરોપીની પત્ની સામે ખરાબ નજરની શંકાએ હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે નાશી ગયેલ બંને સખ્સો સુધી પહોચવા તાત્કાલિક તપાસ શરુ કરી છે.

જામનગર શહેરમાં ગત વર્ષે થયેલ વકીલ હારુન પાલેજાની હત્યા બાદ કાલાવડના વધુ એક જાણીતા વકીલની હત્યાનો બનાવ સામે આવતા સનસનાટી મચી ગઈ છે. કાલાવડમાં અવધ સોસાયટીમાં રહેતા વકીલ ઇમ્તિયાઝભાઇ કેશરભાઈ દોઢીયા ગઈ કાલે રાત્રે સાડા દસેક વાગ્યે પોતાના ઘર નજીક પહોચ્યા ત્યારે કાલાવડના જ ના વૈભવ ચાવડા તથા યોગેસ ઉર્ફે લાલો ભીખાલાલ પરમાર નામના બંને સખ્સોએ તેઓને આંતરી લઇ પ્રથમ બોલાચાલી કરી હતી. ત્યારબાદ આરોપી યોગેશે વકીલ ઈમ્તિયાઝભાઈને હાથ વડે ગળામાથી પકડી રાખી, આરોપી વૈભવ ચાવડાએ ઇમ્તિયાઝને ડાબી બાજુ છાતીના ભાગે તથા પડખામા તથા પીઠના ભાગે છરીના ઉપર ઉપરી ઉંડા તીક્ષ્ણ ઘા મારી લોહીથી લથપથ કરી નાખ્યા હતા. છરીના ઊંડા ઘા થતા વકીલ ઘટના સ્થળે લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યા હતા. આ ઘટનાના પગલે કોલાહલ થતા જ ઘરે રહેલ ભોગગ્રસ્ત વકીલના ભાઈ આસિફ સ્થળ પર દોડી આવ્યા હતા. વકીલના ભાઈને ભાઈને બચાવવા વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને બંને શખ્સોએ આસિફને ગાળો આપી ધમકી આપી હતી કે, ‘જો કોઇને બનાવ વીશે વાત કરીશ તો તારા ૫ણ તારા ભાઇ જેવા હાલ કરીશુ’ જાનથી મારી નાખવાની ધમકી આપી બંને સખ્સો સ્થળ પરથી તુરંત નાશી ગયા હતા. ત્યારબાદ વકીલના ભાઈ સહિતનાએ લોહીના ખાબોચિયામાં ઢળી પડેલ ઈમ્તિયાઝભાઈને સ્થાનિક હોસ્પિટલ પહોચાડ્યા હતા. જો કે સારવાર મળે તે પૂર્વે જ વકીલનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા જ કાલાવડ પોલીસની એક ટુકડી સ્થળ અને બીજી ટુકડી હોસ્પિટલ પહોચી હતી. દરમિયાન જામનગર એલસીબીની ટીમ પણ કાલાવડ પહોચી ગઈ હતી.

આ બનાવ અંગે મૃતકના વકિલાત કરતા ભાઈ આસીફભાઇ કેશરભાઇ ઇસ્માઇલભાઇ દોઢીયાએ  ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતાના મૃતક ભાઈ ઇમ્તિયાઝભાઇને આરોપી વૈભવ ચાવડાની પત્ની મયુરી ઉપર ખરાબ નજર નાખવા બાબતે અગાઉથી આરોપી વૈભવ ચાવડા તથા યોગેસ ઉર્ફે લાલો ભીખાલાલ પરમાર સાથે મનદુખ ચાલતુ હતું. આ બાબતનો ખાર રાખીને બન્ને આરોપીઓએ એકસંપ કરી પુર્વ આયોજીત કાવતરૂ રચી, છરી વડે હુમલો કરી ભાઈ ઇમ્તિયાઝની કરપીણ હત્યા કરી નાશી ગયા હોવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે કાલાવડમાં રહી વકીલાત કરતા મૃતક ઈમ્તિયાઝભાઈ હાલ કાલાવડ બાર એસોના સેક્રેટરીની પણ ભૂમિકા ભજવતા હતા. જાણીતા વકીલની હત્યાની જાણ થતા જ વકીલ આલમના હોસ્પિટલ પર ધામા લાગ્યા હતા. આ બનાવ અંગે નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

NO COMMENTS