જામનગર જિલ્લામાં એક સપ્તાહમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશથી જોડિયા પંથકમાં મજૂરી કામ અર્થે અહીં સ્થાયી થયા બાદ દંપતીના સંબંધમાં દરાર પડી અને આ જ દરાર હત્યાનું કારણ બની છે. હત્યારા પતિએ બનાવને હાર્ટ એટેકમાં ખપાવવાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પિયર પક્ષને શંકા જતા પીએમ કરાવ્યું હતું. જેમાં યુવતીને માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચાડી પતિએ મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું પ્રતિપાદિત થયું હતું. જેને લઈને જોડિયા પોલીસે આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મોરાણા ગામે ગત વર્ષે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મન્નાવર તાલુકાના પીપળી ગામે રહેતા રાકેશભાઇ બદ્રીભાઇ દેવદા ઉ.વ.૨૫ અને તેમના પત્ની ચંદાબેન ઉવ 24 મજૂરી કામ અર્થે સ્થળાતરીત થયા હતા. અહીં દંપતીએ જેતાભાઇ બીજલભાઇની વાડીએ ખેત મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. કામ કરતા કરતા સમયાંતરે દંપતી વચ્ચે વિખવાદ ઉભો થયો હતો. પતિ રાકેશે તેણી સાથે બોલાચાલી કરતો હતો. આ વિખવાદને લઈને રાકેશે તેના સુરેન્દ્રનગર જિલ્લામાં મજૂરી કામ કરતા સસરા અને સાસુને ફોન કરી જાણ કરી કહયું હતું કે ‘ તમારી દીકરીને સમજાવી દેજો’. દરમિયાન ગત તા. 11/4/2023ના રોજ રાકેશે તેના સસરાને ફોન કરી કહ્યું હતું કે ‘ તમારી દીકરીને કામ કરતા કરતા ચક્કર આવી ગયા અને પડી ગઈ છે, હાર્ટ એટેક આવવાથી મૃત્યુ પામી છે, હું તેની લાસને લઈને વતન નીકળું છું ત્યાં અંતિમવિધિ કરવી છે’. આમ વાત કરી રાકેશ ખેતી માલિકને જાણ કરી, એક ઇકો બાંધી તેણીની લાસને વતન લઈ જવા નીકળ્યો હતો.
પોતાની પુત્રી મૃત્યુ પામી હોવાની જાણ થતાં ત્રણ પુત્રી અને બે પુત્રના પિતા એવા રાઘયાભાઈ ભાંગી પડ્યા હતા. તેઓ પણ સુરેન્દ્રનગરથી તાત્કાલિક નીકળી વતન પહોંચ્યા હતા. વતન પહોંચી તેઓએ પુત્રીના દેહને નિહાળતા માથાના ભાગે અને શરીરના ભાગે ઇજાના નિશાન જણાયા હતા. જેથી તેઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતકનો કબજો સંભાળી સ્થાનિક ફોરેન્સિક લેબમાં પીએમ કરાવ્યું હતું. જેમાં તેણીનું મોત માથાના ભાગે ઇજા પહોંચતા થયું હોવાનું જાહેર થયું હતું. જેને લઈને મધ્યપ્રદેશ પોલીસે રાકેશની પૂછપરછ કરી હતી. જેમાં તેણે પત્નીની હત્યા નિપજાવી હોવાનું કબુલ્યું હતું. પોલીસે જામનગર પોલીસને હત્યા અંગે જાણ કરી હતી. જોડિયા પોલીસે મૃતકના પિતા રાધ્યાભાઈ ગોવીંદભાઈ બામણીયાની ફરિયાદ નોંધી હતી. જોડિયા પોલીસ એમપી પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી પરત ફરી છે.
રાધ્યાભાઈને સંતાનમાં ત્રણ દીકરી જેમાં સૌથી મોટી શાંતિ, ત્યારબાદ નંદીની અને સૌથી નાની ચંદુ હતી. ચંદુએ બે વર્ષ પહેલાં પોતાના જ ગામના આરોપી રાકેશ સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ રાઘયાભાઈ અને આરોપી રાકેશ સાથે સમાધાન થઈ જતા બંને પરિવારે સમાજના રીતરિવાજ મુજબ ફરી લગ્ન કરાવી દીધા હતા. લગ્ન બાદ આરોપી પત્નીને લઈને ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ મજૂરી કામ કરતો હતો. સમય જતાં આરોપીએ તેણીના ચારિત્ર્ય બાબતે શંકાઓ કરી તેની સાથે અવારનવાર ઝઘડાઓ કરતો હતો. આ ઝઘડામાં ગત તા. 11મીના રોજ આરોપીએ તેણીની હત્યા નિપજાવી, બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પીએમ રિપોર્ટમાં પતિનો ભાંડો ફૂટી જતા આખરે પાપ છાપરે ચડીને પોકાર્યું હતું. હાલ જોડિયા પોલીસે આરોપીની વિશેષ પુછપરછ કરવા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.