જામનગર: ગ્રામ્ય મામલતદારની કચેરીમાં હંગામી કસ્ટડી ઊભી કરી કારખાનેદારને પૂરી દેવાયા

0
15

જામનગર અપડેટ્સ: જામનગર નજીકના એક કારખાનામાં કામ કરતી વેળાએ મહિલા શ્રમિક ને ઇજા પહોચતાં તે ઇજા સામે વળતર મેળવવા માટે કરવામાં આવેલા કેસમાં વળતર નો હુકમ મજૂર અદાલતે કર્યો હતો. આ પછી મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાંથી કારખાનેદારને વહીવટી કસ્ટડીમાં મોકલવા હુકમ કરાતાં આજે કારખાનેદાર ને કસ્ટડીમાં લેવાયા હતા, જેથી કારખાનેદારના પરિવારમાં ભારે દોડધામ થઈ છે.

જામનગર નજીકના કનસુમરા ગામ માં આવેલા એ કારખાનામાં કામ કરતી વેળાએ લલ્લીબેન રામસ્વરૂપ જાદવ નામની શ્રમિક મહિલાનો હાથ મશીનમાં આવી જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી.આ અંગે શ્રમિક દ્વારા કારખાનેદાર અતુલ મેંદપરા પાસે વળતર મેળવવા મજુર અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. જ્યાં શ્રમિકને રૂપિયા ૧૦ લાખ નું વળતર ચૂકવવાનો કારખાનેદારને હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ વળતર ચૂકવવામાં નહીં આવતાં આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.
જ્યાંથી કારખાનેદારને અટકાયતમાં લેવા વહીવટી પ્રસાશનને આદેશ થયો હતો.

જેના અનુસંધાને આજે કારખાનેદારની અટકાયત કરવામાં આવી હતી, અને તેને ગ્રામ્ય વિભાગ ની પ્રાંત કચેરીના જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીના પરિસરમાં એક હંગામી સેલ (કસ્ટડી) ઊભી કરવામાં આવી છે, અને તેમાં કારખાનેદારને એક રૂમમાં મૂકી દેવાયા હતા. અને રૂમને તાળા માર્યા હતા. તેમજ બહાર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારબાદ જામનગર ગ્રામ્ય વિભાગની પ્રાંત કચેરી ની ટીમ દ્વારા કારખાનેદારને જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવશે, ત્યારબાદ આગળની કાર્યવાહી થશે. ત્યાં સુધી કારખાનેદાર વહીવટી તંત્રની કસ્ટડી હેઠળ રહેશે.

NO COMMENTS