જામનગર જિલ્લા જેલમાંથી ગઈ કાલે પ્રતિબંધિત બે મોબાઈલ અને એક ચાર્જર મળી આવ્યા છે. બંને મોબાઈલની સાથે ચાર્જર પણ મળી આવ્યું છે. જેલ તંત્રના ચેકિંગ દરમિયાન બિન વારસુ હાલતમાં મળી આવેલ પ્રતિબંધિત ઈલેક્ટ્રોનિક સાધનો અંગે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જામનગર જિલ્લા જેલ અવારનવાર વિવાદમાં આવતી રહી છે અને પ્રસાર પ્રચાર માધ્યમોમાં ચમકતી રહી છે. ગત સપ્તાહે જેલમાં પાન-ફાકીની વ્યવસ્થા માટે જેલ સહાયક અને વચેટિયાને એસીબીએ લાંચ લેતા પકડી પાડ્યા હતા. ત્યારે જેલમાં ચાલતી ભ્રસ્ટાચાર પ્રવૃતિઓ ઉઘાડી પડી, વારે વારે થતા રહેતા આક્ષેપો સત્ય સાબિત થયા હતા. એસીબીએ બંને સામે કરેલ કાર્યવાહી બાદ ગઈ કાલે જેલ કરવામાં આવેલ ચેકિંગ દરમિયાન ચાર અને પાંચ નંબરની બેરેકમાંથી બે મોબાઈલ મળી આવ્યા હતા. બંને મોબાઈલની સાથે ચાર્જર પણ મળી આવ્યા હતા. જેને લઈને જેલર નીરુભા ખુમાનસિંહ ઝાલાએ અજાણ્યા સખ્સો સામે ફરિયાદ સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે સીટી એ ડીવીજનના સ્ટાફે તપાસ હાથ ધરી છે. મોબાઈલ ફોન વારે વખતે મળી આવે છે અને તપાસના નામે શૂન્ય જ બાકી રહે છે. ત્યારે આ વખતે મોબાઈલ અંગે ટેકનીકલ સ્ટાફને મદદ લેવામાં આવે તો કોણે ક્યાં ? કોની સાથે વાતચીત કરી છે તેનો તાગ મળી શકે. પરંતુ હમેશા તપાસ બાદ ઘીના ઠામમાં ઘી પડી જતું આવ્યું છે.