દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે રહેતી અને જામનગરમાં રહી ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા શોકનું મોજું પ્રસરી ગયું છે. એક વર્ષ ડ્રોપ લીધા બાદ રિપીટ શરૂ કરેલ અભ્યાસથી કંટાળો આવતા તેણીએ આ પગલું ભરી લીધું હોવાની વિગતો જાહેર થઈ છે.
આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થવાનું છે ત્યાં પરિણામના આગળના દિવસે ધોરણ 11માં સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે જડેશ્વર સોસાયટી, બ્લોક નં.૩૩માં રહેતા નિલેષભાઇ લક્ષ્મીદાસ ગોહેલ નામના આસામીની 15 વર્ષીય પુત્રી માહી જામનગરમાં પટેલકોલોની શેરી નં.૧૧ રોડ નં.૩ ખ્યાતી એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૩માં રહી ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી.
આ વિદ્યાર્થીનીએ ગઈ કાલે જામનગર ખાતેના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં દરજી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવના પગલે તેણીના પરિવારજનો જામનગર આવી પહોંચ્યા હતા. સીટી બી ડિવિઝન પોલીસમાં મૃતક તેણીના પિતાએ નિવેદન નોંધાવ્યું હતું. જેમાં બીમારીના કારણે ગત વર્ષે પુત્રી માહીએ અભ્યાસમાંથી ડ્રોપ લીધો હતો. આ વર્ષે ફરી ધોરણ 11 સાયન્સનો અભ્યાસ શરુ કર્યો હતો. આ રિપીટ અભ્યાસથી કંટાળો આવતા તેણીએ આ પગલુ ભરી લીધું હોવાનુ તેણીના પિતાએ પોલીસમાં નીવેદન આપ્યું હતું.
આ બનાવના પગલે શોકનું મોજું ફરી વળ્યું છે.