જામનગર અપડેટ્સ: સૌરાષ્ટ્ર આહીર સમાજમાં અગ્રેસર એવા જામનગર આહીર સમાજના નવા પ્રમુખ તરીકે સમાજના યુવા આગેવાન અને વકીલાત સાથે સંકળાયેલ શિક્ષિત રણમલભાઈ કાંબરીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આગામી ટર્મમાં જામનગર શહેરમાં વસતા સમાજના દરેક વર્ગને સાથે રાખી આધુનિક યુગની સાથે ચાલી સમાજને નવી દિશા આપવાની નેમ નવનિયુક્ત પ્રમુખ રણમલ કાંબરીયાએ વ્યક્ત કરી છે. યુવા આગેવાનની નિમણુકને આહીર સમાજના આગેવાનોએ પણ વધાવી શુભેચ્છાઓ પાઠવી છે. તાજેરતમાં સત્યમ કોલોની આહીર સમાજ ખાતે મળેલ સાધારણ સભામાં આગામી ત્રણ વર્ષ માટે રણમલભાઈ કાંબરીયાની સર્વાનુમતે પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે.
જામનગર શહેરના આહીર સમાજના પ્રમુખ તરીકે દેવસીભાઈનો કાર્યકાળ પૂર્ણ થતા સમાજની સાધારણ સભામાં આગામી ત્રણ વર્ષ માટે નવા પ્રમુખ તરીકે શહેરના સક્રિય યુવા આગેવાન અને વકીલ એવા રણમલભાઈ કાંબરીયાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. મૂળ જામજોધપુર તાલુકાના વરવાળા ગામના અને બે દાયકા ઉપરાંતથી જામનગરને કર્મ ભૂમિ બનાવનાર યુવા વકીલ રણમલભાઈ કાંબરીયા વિદ્યાર્થીકાળ દરમિયાનથી જ સમાજમાં સક્રિય રહ્યા છે. શિક્ષણના મહત્વના પારખું કાંબરીયા વિદ્યાર્થી કાળ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પ્રદેશ કક્ષા સુધીની વિવિધ જવાબદારી સંભાળી હતી અને વિદ્યાર્થીઓના હિતમાં અનેક કાર્યો કાર્ય હતા.વકીલાતનો ઉચ્ચ અભ્યાસ કરી રણમલભાઈએ જામનગરમાં પ્રેકટીશ કરી રહ્યા છે.
વર્ષોથી આહિર યુવા ગ્રુપમાં સક્રિય સભ્ય તરીકે કામ કરી કાંબરિયા છેલ્લે ચાર ટર્મથી જામનગર આહીર સમાજના મંત્રી તરીકેની સેવા આપે છે. પોતાના આ કાર્યકાળ દરીયાન આવેલ કોરોના કાળ જેવી વિકટ સ્થિતિમાં આહીર સમાજ દ્વારા દર્દીઓને રહેવા જવાની તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ટિફિન વ્યવસ્થા કરી હતી જેમાં રણમલભાઈની કામગીરીને સર્વેએ વધાવી હતી. આ ઉપરાંત સમાજના દર વર્ષે આયોજીત કરવામાં આવતા સમૂહ લગ્નમાં પણ પ્રથમ હરોળમાં રહી સફળ કામગીરી કરી છે. સામાજિક ઉપરાંત તેઓ રાજકીય રીતે પણ અગ્રેસર રહી સમાજને ઉપયોગી થવાનો પ્રયાસ કર્યો છે. ઉપરાંત જામનગરમાં માધવ સ્કેવર એસોસિએશનમાં પ્રમુખ તરીકે અને જામનગર વકીલ મંડળમાં મંત્રી તરીકેની પણ ફરજ બજાવી છે. સમાજના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળતી વેળાએ વકીલ રણમલભાઈએ સમાજને નવી ઉંચાઈએ લઇ જવાની નેમ વ્યક્ત કરી હતી. નવા પ્રમુખની નિયુક્તિને આહીર સમાજના તમામ વડીલો, આગેવાનો, યુવાનોએ વધાવી લઇ સુભેરછાઓ પાઠવી હતી.